મોરબીમાં પાછોતરા વરસાદથી ખેડૂતોના પાક ભારે નુકસાન…
કપાસ અને મગફળી જેવા તૈયાર પાકોને ભારે અસર થઈ
ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાકને નુકસાન થયું
મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા પાછોતરા વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને કપાસ અને મગફળી જેવા તૈયાર પાકોને ભારે અસર થઈ છે. ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાકને નુકસાન થયું છે, જેને પગલે ખેડૂતો દ્વારા તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરવામાં આવી છે
આ વર્ષે ચોમાસા દરમિયાન પણ મોરબી જિલ્લામાં ખેડૂતોને નુકસાન થયું હતું. હવે છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા હળવા-ભારે પાછોતરા વરસાદે સ્થિતિ વધુ વણસાવી છે. ખીરાઈના ખેડૂત શૈલેષભાઈ સંઘાણી અને રોહિશાળાના ખેડૂત સંદીપભાઈ કાલરિયા સહિતના ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરીને સરકાર દ્વારા યોગ્ય સહાય ચૂકવવાની માંગ કરી છે. મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં પાંચેય તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. હળવદ તાલુકામાં 24 MM, વાંકાનેર તાલુકામાં 39 MM, ટંકારા તાલુકામાં 37 MM, મોરબી તાલુકામાં 82 MM અને માળિયા તાલુકામાં 69 MM વરસાદ નોંધાયો છે. ઘણા ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે.
મોરબી જિલ્લાના ખેડૂતોએ આ વર્ષે સારી ઉપજની આશા સાથે મહેનત કરી હતી, પરંતુ પાછોતરા વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થતાં ઉપજ ઓછી અથવા નહિવત આવવાની શક્યતા છે. ખેડૂતોની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તાત્કાલિક સર્વે કરીને સરકાર દ્વારા મળવાપાત્ર સહાય પૂરી પાડવી અત્યંત આવશ્યક છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
