રાજકોટમાં કથળેલી હાલત અને ખાડારાજ મુદ્દે આરએમસીએક્શનમાં
સરકારે કમિટી બનાવ્યા બાદ રોડનું કામ ઝડપી કરવા આદેશ
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનું નિવેદન
ચોમાસાની ઋતુમાં રાજકોટના માર્ગોની કથળેલી હાલત અને ‘ખાડારાજ’ને લઈને સર્જાયેલા વિવાદ બાદ આખરે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે. રાજ્ય સરકારે આ મામલે કમિટી બનાવ્યા બાદ RMCએ રોડ-રસ્તાઓના સમારકામ અને નવીનીકરણની કામગીરી ઝડપી કરવા માટે આદેશ આપ્યા છે.
રાજકોટના માર્ગોની કથળેલી હાલત અને ‘ખાડારાજ’ને લઈને સર્જાયેલા વિવાદ બાદ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સત્તાવાર નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે રોડ-રસ્તાઓની સ્થિતિ સુધારવા માટે તંત્રના આયોજનની વિગતો આપી હતી: કમિશનરે જણાવ્યું કે, ચોમાસા બાદ રાજકોટના રોડ-રસ્તાઓ નવા બનાવવા માટે 342 કરોડના નવા વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે. ભૂતકાળમાં દર વર્ષે સરેરાશ 48 કરોડના કામ થતા હતા, જેની સરખામણીએ આ વર્ષે મોટો જમ્પ લેવામાં આવ્યો છે.
આયોજન હેઠળ શહેરભરમાં કુલ 232 કિલોમીટરના નવા રોડ બનાવવામાં આવશે. જેમાંથી, અત્યાર સુધીમાં 90 કિલોમીટરના રોડનું કામ પૂર્ણ પણ કરી દેવામાં આવ્યું છે. રોડની ગુણવત્તા જળવાઈ રહે તે માટે કડક આયોજન કરવામાં આવ્યું છે. કમિશનરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો ગેરંટીવાળા રોડ તૂટ્યા હશે, તો જે-તે કોન્ટ્રાક્ટરે જ પોતાના ખર્ચે તે કામ પૂર્ણ કરવા પડશે. રોડના કામકાજ પર ચાંપતી નજર રાખવા અને ઝડપ લાવવા માટે 5 ફિલ્ડ એન્જિનિયરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. RMCના આ પગલાંથી આશા જાગી છે કે આગામી સમયમાં રાજકોટના નાગરિકોને ખાડામુક્ત અને ગુણવત્તાયુક્ત માર્ગો મળી રહેશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
