સોનગઢ રંગ ઉપવન ખાતે સ્વચ્છોત્સવ કાર્યક્રમનું આયોજન
કાર્યક્રમમાં સોનગઢના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૫’ અભિયાનના ભાગરૂપે સોનગઢ નગરપાલિકાના રંગ ઉપવન ખાતે સ્વચ્છોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ (આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગ) અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લાના તેમજ તાલુકાના ઉચ્ચ અધિકારીઓ, સ્થાનિક પ્રતિનિધિઓ અને સોનગઢના નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સોનગઢ તાલુકાની ૨૧ ગ્રામ પંચાયતોને સ્વચ્છતા માટે જરૂરી વાહનો અર્પણ કરવામાં આવ્યા. આ વાહનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં કચરાના યોગ્ય સંચાલન, સ્વચ્છતા જાળવવા અને ગ્રામજનોને વધુ સારી સુવિધા આપવા પ્રયાસ કરવામાં આવશે. મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “સ્વચ્છતા માત્ર અભિયાન નથી પરંતુ આપણા આરોગ્ય, પર્યાવરણ અને જીવનશૈલી સાથે જોડાયેલી સંસ્કૃતિ છે. ગામગામના નાગરિકોએ આ અભિયાનમાં સક્રિય સહભાગી બનીને ‘સ્વચ્છ ગ્રામ – સ્વસ્થ ગ્રામ’નું સ્વપ્ન સાકાર કરવું પડશે.” કાર્યક્રમ દરમ્યાન સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા જનજાગૃતિ અભિયાન પણ યોજાયા.
