મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પંચમહાલની મુલાકાતે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલમાં કર્યું વિકાસના કાર્યોનું ખાતમુહુર્ત.
732.28 કરોડના 112 વિકાસકામોની ભેટ.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પંચમહાલ જિલ્લાને કરોડો રૂપિયાના વિકાસના કામોની મોટી ભેટ આપી છે. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આશરે 732 2કરોડથી વધુના ખર્ચે વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ વિકાસકામોથી ખાસ કરીને જિલ્લાના ખેડૂતો અને ગ્રામીણ જનતાના જીવનસ્તરમાં મોટો સુધારો આવશે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પંચમહાલ જિલ્લાને કરોડો રૂપિયાના વિકાસના કામોની મોટી ભેટ આપતા કહ્યું પંચમહાલ જિલ્લો ખેતી પર નિર્ભર છે, ત્યારે ખેડૂતોને સિંચાઈની પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે સરકાર દ્વારા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ ઉદ્વહન સિંચાઈ યોજનાના કામોની જાહેરાત કરી છે, જેનાથી છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચશે. પૂરતા પાણીને કારણે ખેડૂતો હવે વર્ષમાં વધુ પાક લઈ શકશે, જે તેમના આર્થિક સશક્તિકરણમાં મદદરૂપ થશે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર છેવાડાના વિસ્તારોમાં પણ શહેરો જેવી પાયાની સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. 732 કરોડના આ પ્રોજેક્ટ્સમાં શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓનો પણ સમાવેશ થાય છે
ગ્રામીણ વિસ્તારોમાં પરિવહન સુવિધા વધારવા માટે ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ નવા રસ્તાઓના નિર્માણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગામડાઓને તાલુકા અને જિલ્લા મથક સાથે જોડતા પાકા રસ્તાઓ બનવાથી શ્રમિકો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને અવરજવરમાં મોટી રાહત થશે. મંત્રીએ જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય છેવાડાના માનવીને ગુજરાતની વિકાસની મુખ્યધારામાં જોડવાનો છે. આ પ્રસંગે સ્થાનિક નેતાઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલવાસીઓએ આ વિકાસની ભેટને વધાવી લીધી છે અને આગામી સમયમાં આ પ્રોજેક્ટ્સને કારણે જિલ્લાના નકશો બદલાઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
