સુરત જિલ્લાના કીમ પોલીસ મથકમાં પીઆઇ લાંચમાં ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરત જિલ્લાના કીમ પોલીસ મથકમાં પીઆઇ લાંચમાં ઝડપાયો
પીઆઈ પી.એચ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલીયા ટ્રેપમાં ફસાયા
3 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા ચકચાર

સુરત જિલ્લાના કીમ પોલીસ મથકમાં એક સનસનાટીભર્યા કિસ્સામાં એન્ટી કરપ્શન બ્યુરોએ પીઆઈ પી.એચ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલીયાને 3 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે. સુરત એસીબી પાસેથી મળતી માહિતી મુજબ એક અઠવાડિયા પહેલા કીમ-મુળદ રોડ પર આવેલા પામવિલા ફાર્મ હાઉસમાં સુરતના એક એમ્બ્રોડરી વેપારી અને તેના મિત્રોને ત્રણ અજાણ્યા શખ્સોએ નકલી પોલીસ બનીને અટકાવ્યા હતા.

આ શખ્સોએ વેપારીને માર મારી અને ચપ્પુ બતાવી 25 લાખની માંગણી કરી હતી, જો કે 13 લાખમાં પતાવટ થઈ હતી. આ મામલે કીમ પોલીસે ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આ ગુનામાં પકડાયેલા આરોપીઓ પર ગુજસીટોક જેવી કડક કલમો ન ઉમેરવા, અન્ય કલમો ઘટાડવા અને જામીન પ્રક્રિયામાં મદદ કરવાના બદલામાં કીમ પોલીસ મથકના પીઆઈ પી.એચ. જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલીયાએ આરોપીના ભાઈ પાસે 10 લાખની માંગણી કરી હતી. અંતે 3 લાખમાં સોદો નક્કી થયો હતો.

લાંચની રકમ આપવા નહી માંગતા ફરિયાદીએ અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીના પીઆઈ વી.ડી. ચૌધરી અને ટીમ દ્વારા કીમ પોલીસ મથક પરિસરમાં જ છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પીઆઈ જાડેજા અને વકીલ ચિરાગ 3 લાખની રોકડ સ્વીકારતા આબાદ ઝડપાઈ ગયા હતાં. નકલી પોલીસના ગુનામાં કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે ભ્રષ્ટાચારનો માર્ગ અપનાવનાર પીઆઈ સામે એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ પોલીસની છબી પર મોટા સવાલો ઊભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *