અમરેલીના માલકનેશમાં યુવકની હત્યા
30 વર્ષીય મેહુલ સોલંકીને 10 જેટલા છરીના ઘા મારી હત્યા કરી
અજાણ્યા શખ્સોએ અગમ્ય કારણોસર હત્યા કરી
એએસપી જયવીર ગઢવી સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામમાં યુવકની હત્યાના બનાવે ચકચાર મચાવી છે. મેહુલ પૂંજાભાઈ સોલંકી (ઉંમર 30)ની અજાણ્યા શખ્સોએ છરી વડે હત્યા કરી નાખી છે. આરોપીઓએ યુવકના શરીર પર 10 જેટલા છરીના ઘા ઝીંક્યા હતા.
ઘટનાની જાણ થતાં જ ખાંભા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે પરિવારજનોના નિવેદન નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. ખાંભા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે હત્યાનો ગુનો નોંધવામાં આવશે. એએસપી જયવીર ગઢવી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસની કામગીરી શરૂ કરી હતી. પોલીસે આરોપીઓને શોધવા માટે લોકેશન મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. હત્યાનું કારણ જાણવા માટે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. એએસપી ગઢવીએ જણાવ્યું કે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે અને આરોપીઓને પકડવા માટે પોલીસ કાર્યરત છે

