પાંડેસરામાં શંકાસ્પદ પનીરના કારખાના પર દરોડા
પોલીસે 1.4 ટન શંકાસ્પદ જથ્થો સીલ કર્યો
તહેવાર બગાડનારા ભેળસેળિયાઓ પર પોલીસની સર્જીકલ સ્ટ્રાઈક
સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે એસઓજીની ટીમે પાંડેસરા ભીડભંજન સોસાયટી ખાતે આવેલા કારખાનામાં આરોગ્ય વિભાગની ટીમ સાથે દરોડા પાડતા ત્યાંથી અધધ કહેવાય તેટલો 1400 કિલો જેટલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો મળી આવતા એકની અટકાયત કરાઈ હતી.
સુરત એસઓજીની ટીમે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના અદિકારીઓ સાથે મળી પાંડેસરા ખાતે આવેલ ભીડભંજન સોસાયટીના કારખાનામાં દરોડા પાડ્યા હતાં. જ્યાંથી 3.8 લાખની કિંમતનો 1400 કિલો જેટલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે કારખાનામાંથી પોલીસે મહેશ પુનાશંકર શર્માની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. તો કારખાનામાંથી પનીર બનાવવા માટેની પેસચરાઇઝ મશીનરી, હોમોનાઇઝર મશીન, વેન્ચ્યુરી મશીન, સ્ટોરેજ અને વજન કાંટા સહિતનો મુદ્દામાલ મળી પોલીસે 25 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. તો કારખાનામાંથી નોન બ્રાન્ડેડ લુઝ એનાલોગ પનીરના સ્ટીકરો પણ મળી આવ્યા હતાં. સાથે પામોલીન તેલના 28 ખાલી ડબ્બા, રાગ પામોલીન તેલના 16 જેટલા ડબ્બા મળ્યા હતાં. વધુમાં આ લુઝ પનીરનો જથ્થો પ્લાસ્ટિકની કોથળીમાં પેકિંગ કરી તેના પર સ્ટીકરો મારી શહેરની અલગ અલગ ડેરીઓમાં તેમજ છૂટકમાં વેચાણ કરાતું હતું. છેલ્લા બે વર્ષથી શંકાસ્પદ પનીરનો જથ્થો બનાવવામાં આવતો હોવાનુ અને પ્રતિ દિવસ 400 કિલો જેટલું પનીરનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનુ સામે આવ્યુ છે.
