અમરેલી ખાંભાના નવા માલકનેસમાં સિંહનો હુમલો.
વાડીમાં રખોપું કરી રહેલા ખેડૂત ભાગીદાર પર સિંહનો હુમલો.
અગાસી પર સૂતા ખેડૂત પર સિંહે અચાનક હુમલો કરતા ચકચાર મચી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નવા માલકનેસ ગામે મોડી રાત્રે વનરાજની ત્રાડથી ભયનો માહોલ છવાયો હતો. ખેતીની રખેવાળી કરવા માટે વાડીમાં મકાનની અગાસી પર સૂતા એક ખેડૂત પર સિંહે અચાનક હુમલો કરતા ચકચાર મચી ગઈ છે.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નવા માલકનેસ ગામમાં રહેતા 45 વર્ષીય મનસુખભાઈ સુખાભાઈ જાદવ પોતાની વાડીમાં મકાનની અગાસી પર રખોપું કરવા માટે સૂતા હતા. મધ્યરાત્રિએ સિંહે અચાનક અગાસી પર ચઢી તેમના પર હુમલો કર્યો હતો. આ ઓચિંતા હુમલામાં મનસુખભાઈને માથાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટના સમયે મનસુખભાઈ સાથે અગાસી પર સૂતા તેમના સંબંધી ભરતભાઈએ જણાવ્યું હતું કે, સિંહે હુમલો કરતાની સાથે જ તેઓ જાગી ગયા હતા. સિંહને સામે જોઈ તેમણે જોરદાર પડકારા કર્યા હતા, જેના કારણે ડરીને સિંહ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઈજાગ્રસ્ત મનસુખભાઈને પ્રથમ ખાંભા ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સિંહના હુમલાની જાણ થતા જ ખાંભા વન વિભાગની ટીમ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. રહેણાંક અને વાડી વિસ્તારમાં સિંહના હુમલાથી ગ્રામજનોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા હાલમાં સિંહ કઈ દિશામાં ગયો છે અને તેનું ચોક્કસ લોકેશન ક્યાં છે તે જાણવા માટે ટ્રેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાન્યુઆરીમાં અમરેલી જિલ્લામાં સિંહણના હુમલાની વધુ એક ઘટના સામે આવી હતી. લાઠીના ઇંગોરાળા અને ભીંગરાડ ગામ વચ્ચે કપાસ વીણતી 14 વર્ષની બાળકી પર સિંહણે હુમલો કર્યો હતો….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
