સુરતમાં 50 ઘરોમાં તાલાબંધી મામલે કલેકટરને પત્ર
સાંસદ મુકેશ દલાલએ કલેકટરને પત્ર લખી તપાસની માંગ કરી
ઉનમાં ગેરકાયદે રહેતા લોકો રાતોરાત ગાયબ થયા
સુરતના સાંસદ મુકેશ દલાલએ ઉનમાં ગેરકાયદે રહેતા લોકો રાતોરાત ગાયબ થયા હોવાનુ અને 50 ઘરોમાં તાલાબંધી મામલે કલેકટરને પત્ર લખી તપાસની માંગ કરી હતી.
સુરત શહેરના ઉન વિસ્તારમાં એસઆઈઆરની કામગીરી દરમિયાન એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. વહીવટી તંત્રની ટીમો મતદારોની ખરાઈ કરવા ઉન વિસ્તારમાં પહોંચી, ત્યારે અંદાજે 50 જેટલા મકાનોમાં તાળા લાગી ગયા હોવાનું સામે આવ્યું છે. 500 મતદાતાઓ ગાયબ હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને સુરતના સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને પત્ર લખી તપાસની માંગ કરી છે. ચૂંટણી પંચના આદેશ મુજબ હાલમાં સ્પેશિયલ ઇન્ટરનલ રિવિઝનની કામગીરી ચાલી રહી છે. જેનો હેતુ બોગસ મતદારો અને ગેરકાયદેસર રીતે યાદીમાં ઘૂસી ગયેલા તત્વોને દૂર કરવાનો છે. ઉન વિસ્તારમાં જેવી બીએલઓની ટીમો સક્રિય થઈ, કે તુરંત જ સેંકડો લોકો ઘર છોડીને ગાયબ થઈ ગયા હતા. સાંસદે કલેક્ટરને લખેલા પત્રમાં ઉન વિસ્તારની આ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જો આ લોકો ભારતના કાયદેસરના નાગરિક અને સાચા મતદારો હોય, તો તેમને તપાસથી ડરવાની શું જરૂર હતી? 50 ઘરોમાં એકસાથે તાળા લાગવા એ સાબિત કરે છે કે અહીં કંઈક રંધાઈ રહ્યું છે. આ લોકો હવામાં ઓગળી ગયા નથી, તેમની પાછળ કોઈ મોટું નેક્સસ હોઈ શકે છે.
