રાજપીપળાની એક બેન્કના કેશ ઓફિસરે 1.93 કરોડની ઠગાઈ કરી
એટીએમમાં પૈસા ઓછા રાખી સિસ્ટમમાં વધુ બતાવ્યા
એક એટીએમમાં 23 લાખ બતાવ્યા અને માત્ર 4.38 લાખ મળ્યા
નર્મદા જિલ્લાના રાજપીપળાની એક બેંક સાથે પૂર્વે પણ કર્મચારીએ 1.93 કરોડની ઠગાઈ કરી ફરાર થઈ ગયો છે. નર્મદા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાની બેંકના કેશ ઓફિસરે 1.93 કરોડની ઠગાઈ કરી ફરાર થઈ જતા ફરિયાદ નોંધાઈ છે. બેંકના મેનેજરની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજપીપળાની એક બેંકની મુખ્ય શાખામાં મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ કૈલાશ સોનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ બેંકના વોટસએપ ગ્રુપમાં સંતોષ ચાર રસ્તા પાસે આવેલું એટીએમ આઉટ ઓફ સર્વિસ બતાવી રહયું છે. આ બાબતે તપાસ કરવામાં આવતાં આ એટીએમમાં 4.38 લાખ રૂપિયા હોવાનું જણાયું હતું. જયારે બેંકની સીસ્ટમમાં આ રકમ 23.27 લાખ રૂપિયા બતાવતી હતી. બેંકના અધિકારીઓને શંકા જતાં અન્ય વિસ્તારોના એટીએમમાં રાખવામાં આવેલી રોકડ રક્મની પણ તપાસ કરવામાં આવી હતી. અન્ય એટીએમમાં 9 લાખ 53 હજાર રૂપિયા મળી આવ્યા હતા, જ્યારે સિસ્ટમમાં 40 લાખ 88 હજાર ત્રણસો રૂપિયા બતાવતા હતા.
આ બાબતે અગાઉના કેશ ઓફિસર કે જેમની હાલ નસવાડી શાખામાં બદલી થઈ ગઈ છે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. તેમણે બેંકના મેનેજરને ટેકનીકલ સમસ્યા હશે તેમ જણાવી પોતાનો બચાવ કર્યો હતો. બાદમાં સ્ટેશન રોડના એટીએમમાંથી 2600 રૂપિયા મળી આવ્યા હતા, જ્યારે સિસ્ટમમાં 39,98,500 રૂપિયા તથા પોઇચા ખાતેમાં એટીએમમાં 3700 રૂપિયા મળી આવ્યા હતા જ્યારે સિસ્ટમમાં 51 લાખ 64 હજાર ચારસો રૂપિયા બતાવતા હતા. બેંકના વિવિધ એટીએમમાં 1.93 કરોડ રૂપિયા સીસ્ટમમાં બતાવતાં હતાં પણ એટીએમમાં વાસ્તવમાં આટલા રૂપિયા ન હતાં. જેથી મેનેજરે પૂર્વ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે. આ કર્મચારી મુખ્ય શાખા ખાતે 25 જુલાઈ 2022 થી 27 ઓક્ટોબર 2025 સુધી કેસ ઓફિસર તરીકે ફરજ બજાવતો હોવાની વિગતો સામે આવી છે. સમગ્રા મામલે હાલ તો રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
