સુરતના કામરેજ નજીક માનસિક તણાવમાં યુવક
લસકાણા પોલીસે સાતમા માળના ફ્લેટમાંથી યુવકને બચાવ્યો
કિરણભાઈને સાતમા માળેથી સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા
સુરતના કામરેજ નજીકના ખોલવાડ ગામમાં માનસિક તણાવમાં ઝેરી દવા પી રહેલા એક વ્યક્તિને લસકાણા પોલીસે સાતમા માળના ફ્લેટમાંથી બચાવી હોસ્પિટલ ખસેડતા તેનો જીવ બચી ગયો હતો.
સુરતની લસકાણા પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીના કારણે એક વ્યક્તિનો જીવ બચી ગયો છે. વાત એમ છે કે ગત 9મી જુનના રોજ સાંજે પીસીઆરને માહિતી મળી હતી કે ખોલવાડ ગામ સ્થિત સ્ટાર પવિત્ર નગરી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર એ 701માં રહેતા કિરણભાઈ રામજીભાઈ ધામેલિયા માનસિક રીતે ભાંગી પડતાં ઝેરી દવા પીને રૂમ અંદરથી બંધ કરી બેઠા છે. જે માહિતીના આધારે પીસીઆરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને ફ્લેટનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસ કોન્સ્ટેબલ શૈલેષભાઈએ સમયસૂચકતા અને હિંમત દાખવી બાજુના ફ્લેટમાં જઈ પાછળની બારી મારફતે જોખમ ખેડી સાતમા માળેથી કિરણભાઈના ફ્લેટમાં પ્રવેશ કર્યો હતો. બારી મારફતે અંદર પહોંચેલી પોલીસે કિરણભાઈને વધુ ઝેરી દવા પીતા અટકાવ્યા હતા અને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ થોડી માત્રામાં દવા પી ગયા હોવાનું જણાયું હતું. ત્યારબાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કિરણભાઈને સાતમા માળેથી સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા. અને પોલીસે તેમને પીસીઆર વાનમાં બેસાડી તાત્કાલિક કામરેજ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર મળતાં તેમનો આબાદ બચાવ થયો હતો. પોલીસની ઝડપી કામગીરી અને બહાદુરીને સ્થાનિકોએ પણ બિરદાવી છે.

