ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી સિંધુ જળ સંધિ શું છે, જેને રોકી દેવાઈ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા બાદ નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા મામલાની કૅબિનેટ કમિટી (સીસીએસ)ની બેઠક મળી હતી જેમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. તેમાં પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ રોકી દેવાનો નિર્ણય મુખ્ય છે. આ ઉપરાંત અટારી બૉર્ડર પણ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. પહલગામમાં મંગળવારે ચરમપંથી હુમલો થયો હતો જેમાં 26 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. નિર્ણય લેવાયો કે જ્યાં સુધી પાકિસ્તાન વિશ્વાસપાત્ર રીતે અને પાછો ન ખેંચી શકાય એ પ્રકારે સીમાપાર આતંકવાદને તેના ટેકો પાછો ન ખેંચે ત્યાં સુધી વર્ષ 1960ની સિંધુ જળ સંધિ મોકૂફ કરાશે.
બ્રિટિશ રાજ દરમિયાન દક્ષિણ પંજાબમાં સિંધુ નદી ખીણ પર મોટી નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારને આ પ્રોજેક્ટનો એટલો લાભ મળ્યો કે તે કૃષિ શ્રેત્રે દક્ષિણ એશિયાનો મુખ્ય ભાગ બની ગયો.
ત્યાર બાદ ભારત અને પાકિસ્તાનના વિભાજન સમયે પંજાબના પણ ભાગલા પડ્યા જેમાં તેને પૂર્વ ભાગ ભારત અને પશ્ચિમ ભાગ પાકિસ્તાન તરફ ગયા.
આ સાથે જ સિંધુ નદી ખીણ અને તેની વિશાળ નહેરોનું પણ વિભાજન કરવામાં આવ્યું. પરંતુ તેનાથી મળતા પાણી પર પાકિસ્તાન સંપૂર્ણ ભારત પર નિર્ભર હતું.
પાણીના વહેણને જાળવી રાખવાના હેતુથી પૂર્વ અને પશ્ચિમ પંજાબના ચીફ એન્જિનિયરો વચ્ચે 20 ડિસેમ્બર 1947માં એક સંધિ થઈ.
આ સંધિ અંતર્ગત વિભાજન પહેલાં નક્કી કરાયેલો પાણીનો નિશ્ચિત હિસ્સો ભારતે 31 માર્ચ 1948 સુધી પાકિસ્તાનને આપતું રહેવાનું નક્કી થયું.
1 એપ્રિલ 1948ના રોજ જ્યારે સંધિ સમાપ્ત થઈ ત્યારે ભારતે બે મુખ્ય નહેરોનું પાણી રોકી દીધું જેના કારણે પાકિસ્તાનના પંજાબની 17 લાખ એકર જમીનની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ.
અંતે 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાચીમાં સિંધુ નદી સમજૂતી પર હસ્તાક્ષર થયા.