અમદાવાદ પ્લેન ક્રેશને લઈને કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુનું નિવેદન
1 મહિનામાં તપાસનો રિપોર્ટ આવશે
સંપૂર્ણ પારદર્શિતા સાથે ચાલી રહી છે તપાસ
કેન્દ્રીય એવિએશન મંત્રી રામમોહન નાયડૂએ અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ અંગે અપડેટ આપી છે. તેમણે જણાવ્યું કે AAIB સહિતની એજન્સીઓ તપાસ કરી રહી છે અને પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. આગામી એક મહિનામાં રિપોર્ટ આવવાની શક્યતા છે, જેમાં કેન્દ્ર સરકાર સંપૂર્ણ સહયોગ આપી રહી છે.
અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશની ગંભીર દુર્ઘટના બાદ હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે. આ મામલે કેન્દ્રીય એવિએશન મંત્રી રામમોહન નાયડૂએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, દુર્ઘટનાના કારણો શોધવા માટેની તપાસ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. સરકાર આ મામલે અત્યંત ગંભીર છે અને પારદર્શક તપાસ પર ભાર મૂકી રહી છે. મંત્રીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્લેન ક્રેશ પાછળ ટેકનિકલ ખામી હતી કે માનવીય ભૂલ, તે જાણવા માટે ઘણી બધી એજન્સીઓ કામે લાગી છે. ખાસ કરીને એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો હાલમાં આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે. તમામ ડેટા અને બ્લેક બોક્સના વિશ્લેષણ બાદ સત્ય બહાર આવશે.
કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડૂએ ખાતરી આપી હતી કે, કેન્દ્ર સરકાર દ્વારા તપાસ માટે તમામ જરૂરી સહાય અને સંસાધનો પૂરા પાડવામાં આવ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી 1 મહિનાની અંદર અમદાવાદ પ્લેન ક્રેશનો સત્તાવાર રિપોર્ટ જાહેર કરી દેવામાં આવશે. આ રિપોર્ટના આધારે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે મહત્વના પગલાં લેવામાં આવશે.

