સુરત રાંદેરમાં ભારે વરસાદ વચ્ચે કરંટ લાગતા બેના મોત
રાંદેરના સુજાતખાન સ્ટ્રીટમાં બનેલ ઘટના
બેના મોત નિપજ્યાની ઘટનાને લઈ ચકચાર
સુરતમાં ભારે વરસાદ વચ્ચે કરંટ લાગતા બેના મોત નિપજ્યાની ઘટનાને લઈ ચકચાર મચી જવા પામી છે. રાંદેરના સુજાતખાન સ્ટ્રીટમાં બનેલી ઘટનાને લઈ પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.
સુરતમાં ધોધમાર પડેલા વરસાદને લઈ અનેક જગ્યાએ પાણી ભરાવવાની સાથે ઝાડ પડવાની ઘટનાઓ બની હતી. ત્યારે રાંદેર વિસ્તારમાં એક કરૂણાંતિકા વરસાદમાં સર્જાઈ હતી. વાત એમ છે કે રાંદેરના સુજાતખાન સ્ટ્રીટના મકાનમાં ભાડે રહેતા બે લોકો સલમાન ખલીફા અને આઝમ આલમને કરંટ લાગતા મોત નિપજ્યુ હતું. તો મૃતકોમાંથી એક સલમાન ખલીફાની પત્નિ ચાંદનીએ આક્ષેપ કરતા કહ્યુ હતુ કે મકાનમાં ઘણા સમયથી કરંટ આવતુ હોવા અંગે મકાન માલિકને જાણ કરી હોવા છતા કોઈ કામગીરી ન કરાતા આજે પડેલા ધોધમાર વરસાદમાં કરંટ લાગતા બે લોકોના મોત નિપજ્યુ હતું.
બીજી તરફ ડોક્ટરે જણાવ્યુ હતું કે બે લોકોને રીક્ષામાં હોસ્પિટલે લવાયા હતા જો કે સારવાર મળે તે પહેલા જ તેઓનુ મોત નિપજ્યુ હતું. લોકો પહેલા વિજળી પડતા મોત થયાનુ કહેતા હતા જો કે કેટલાક લોકોએ કરંટથી મોત થયાનુ જણાવતા પોલીસને જાણ કરી હતી અને હાલ પીએમ રીપોર્ટમાં જ બન્નેના મોતનુ કારણ સામે આવશે તેમ જણાવ્યુ હતું. બીજી તરફ પોલીસે બન્નેની લાશનો કબ્જો લઈ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

