યશવી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમુહલગ્ન
આજે ૧૦૧ પિતાવિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓ માટે ‘મહેંદી રસમ’
સુરત શહેરના ડુમસ રોડ પર આવેલી ‘પ્રાચીન નગરી’ ખાતે આજે માનવતા અને મંગલ ભાવનાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. યશવી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમુહલગ્નના ભાગરૂપે આજે ૧૦૧ પિતાવિહોણી અને જરૂરિયાતમંદ દીકરીઓ માટે ભવ્ય ‘મહેંદી રસમ’ કાર્યક્રમ યોજાયો હતો.
સુરતમાં પ્રાચીન નગરી ખાતે સવારે ૧૧ વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં 101 દીકરીઓએ એકસાથે પોતાના હાથોમાં મહેંદી મુકાવી લગ્નોત્સવના શ્રીગણેશ કર્યા હતા. જે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે, તેવી દીકરીઓના જીવનમાં ખુશીઓના રંગ ભરવા માટે યશવી ફાઉન્ડેશન દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મહેંદીની સાથે સાથે મંગલ ગીતો અને ઉત્સાહભર્યા વાતાવરણને કારણે સમગ્ર ‘પ્રાચીન નગરી’ ગુંજી ઉઠી હતી.
યશવી ફાઉન્ડેશનના આયોજકોએ જણાવ્યું હતું કે, “આ દીકરીઓ પોતાને એકલી ન સમજે અને તેમના જીવનના સૌથી મોટા પ્રસંગે કોઈ પણ પ્રકારની ઉણપ ન રહે તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. મહેંદી રસમ બાદ હવે આગામી તારીખ 14 માર્ચના રોજ આ દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે.”

