સુરતમાં લાંબા સમયથી ચાલી રહેલા એસટીએમ લીઝ વિવાદ
એસટીએમની ૨૨ દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ
3 વખત નોટિસ આપવા છતાં વેપારીઓએ નાણા જમા નહી
સુરતમાં લાંબા સમયથી ચાલી રહેલા લીઝ વિવાદમાં એસટીએમની ૨૨ દુકાનોને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ હતી. ત્રણ વખત નોટિસ આપવા છતાં વેપારીઓએ નાણા જમા નહી કરાવતા આખરે સીલીંગની કામગીરી કરાતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
સુરતના રિંગરોડ સ્થિત સુરત ટેક્સ્ટાઈલ માર્કેટમાં લીઝના નાણાંને લઈ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે રવિવારે સિક્યુરિટી દ્વારા સીલિંગની કાર્યવાહી કરાતા વેપારીઓમાં નારાજગી જોવા મળ્યો હતો. અને મામલો સલાબતપુરા પોલીસ સુધી પહોંચ્યો હતો. બીજી બાજુ માર્કેટ કમિટીએ લીઝ અને મેન્ટેનન્સના નાણાં નહીં ભરનારા 22 જેટલા દુકાનદારો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. નારાજ વેપારીઓએ કહ્યુ હતુ કે માર્કેટમાં સીલિંગની કામગીરી કરનારા સિક્યુરિટી પાસે ઓર્ડરની કોપી માંગવામાં આવી હતી. પરંતુ વેપારીઓને કોઈ કોપી અપાઈ નહોતી. કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર વેપારીઓની ગેરહાજરીમાં રવિવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. સલાબતપુરા પોલીસની સૂચના પછી પણ વેપારીઓને સીલિંગની કાર્યવાહી કરવા બાબતના ડોક્યુમેન્ટ બતાવવામાં આવ્યા નહોતા.
આ અંગે સુરત ટેક્સ્ટાઈલ માર્કેટના પ્રમુખ રાજેન્દ્ર ઓરડિયાએ જણાવ્યું હતું કે, કમિટીની મળેલી વાર્ષિક સભામાં બે વખત લીઝ અને મેન્ટેનન્સના નાણાં નહીં ભરનારા વેપારીઓની દુકાન સીલ કરવા માટે પ્રસ્તાવ પાસ કરાયો છે. 22 દુકાનદારો સિવાય બીજા તમામ દુકાનદારોના નાણાં આવી ગયા છે. નાણાં જમા કરાવવા માટે ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી છે. તેમ છતાં વેપારીઓએ નાણાં જમા નહીં કરાવતા માર્કેટ કમિટીના ઠરાવના આધારે રવિવારે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. દુકાનદારોએ બોર્ડ ઓફ નોમિનીમા નાણાં ભરવાના નિર્ણયને પડકાર્યો હતો. પરંતુ તેઓનો દાવો નામંજૂર કરી પૈસા ભરવા માટે બોર્ડ ઓફ નોમિનીએ હુમક કર્યો હતો. ત્યારબાદ ટ્રિબ્યૂનલ અપીલમાં પણ તેઓનો દાવો મંજૂર રાખવામાં આવ્યો નથી.

