ખેડામાં મહેમદાવાદની મેશ્વોમાં ડૂબેલાં 6 નાં અંતિમસંસ્કાર

Featured Video Play Icon
Spread the love

ખેડામાં મહેમદાવાદની મેશ્વોમાં ડૂબેલાં 6 નાં અંતિમસંસ્કાર
ચાર મૃતદેહને નરોડા લવાયા અને કનીજમાં બેની અંતિમયાત્રા
અંતિમયાત્રા નીકળતાં સમગ્ર ગામ હીબકે ચડ્યું હતું

ખેડા‌ જિલ્લાના મહેમદાવાદ પંથકમાં ગઈકાલે કરુણાંતિકા સર્જાઈ હતી. મામા-ફોઈનાં 5 સંતાનો અને અન્ય એક મળી કુલ 6 લોકો નદીના પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યાં હતાં. મોડીરાત સુધીમાં આ તમામના મૃતદેહોને નદીના પાણીમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યા હતા અને એ બાદ પીએમ કરવામાં આવ્યા હતા. આ પછી તમામ મૃતદેહો તેમનાં પરિવારજનોને સોંપવામાં આવ્યાં હતાં

ખેડા‌ જિલ્લાના મહેમદાવાદ પંથકમાં 6 લોકો નદીના પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યાં હતાં, 6 મૃતક પૈકી 4 અમદાવાદના નરોડાના ભાણેજ હતા, જ્યારે અન્ય બે લોકો સ્થાનિક હોવાનું સામે આવ્યું હતું. આજે ગુરુવારે જે સ્થાનિક કનીજના બે લોકો હતા તેમની અંતિમયાત્રા નીકળતાં સમગ્ર ગામ હીબકે ચડ્યું હતું. 6 લોકો નદીના પાણીમાં ડૂબતા જ બુમરાણ થતાં આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને બે લોકોને નદીના પાણીમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યા હતા, જોકે આ પહેલાં આ બંનેનાં મોત નીપજી ચૂક્યાં હતાં. બીજી તરફ ઘટનાની જાણ મહેમદાવાદ પોલીસ અને મહેમદાવાદ ફાયરબ્રિગેડની ટીમને કરવામાં આવી હતી અને આ બનાવને પગલે કલેકટર, જિલ્લા પોલીસવડા, ખેડા પ્રાંત સહિતના અધિકારીઓ અને‌ સ્થાનિક ધારાસભ્ય પણ દોડી ગયા હતા. ઘણા કલાકો વીતવા છતાં નદીના પાણીમાં મૃતદેહોની ભાળ ન મળતાં નડિયાદ ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી છે. 5 કલાકની મહેનત બાદ આ તમામના એક બાદ એક એમ 6 મૃતદેહને નદીના પાણીમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યા હતા

મહેમદાવાદ તાલુકાના કનીજ ગામેથી પસાર થતી મેશ્વો નદીમાં ગતરોજ બુધવારે સાંજે મામા-ફોઈનાં 5 ભાઈ-બહેનો અને અન્ય એક મળી કુલ 6 લોકો, જેમાં 14 વર્ષીય ભૂમિકાબેન ભૂપેન્દ્રભાઈ જાદવ, 22 વર્ષીય દિવ્યાબેન રામજીભાઈ સોલંકી, 21 વર્ષીય ફાલ્ગુનીબેન સોલંકી, 15 વર્ષીય ભાણિયો ધ્રુવ પંકજભાઈ સોલંકી, 24 વર્ષીય ભાણી જીનલ પંકજભાઇ સોલંકી અને 19 વર્ષીય મયૂર સોલંકી એમ તમામ લોકો આ નદીમાં નાહવા માટે ઊતર્યાં હતાં. કોઈને ખબર ન હતી કે આ નાહવાની મજા મોત તરફ ખેંચી લઈ જશે. આ તમામ લોકો નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યાં હતાં, જે જોતા નાસભાગ મચી ગઈ હતી.

પોલીસે આ તમામ મૃતદેહોના પીએમ કરાવી મોડીરાત્રે તેમનાં પરિવારજનોને સોંપ્યા હતા. એ બાદ 4 ભાણેજને અમદાવાદના નરોડા ખાતે તેમના ઘરે લઈ જવાયા હતા, જ્યાં આજે તેમની અંતિમયાત્રા નીકળતાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જ્યારે કનીજમાં બેની અંતિમયાત્રા નીકળી હતી અને પરિવારજનોના હૈયાફાટ આક્રંદ વચ્ચે સ્વજનોએ તેમના અંતિમસંસ્કાર કર્યા હતા. આ અંતિમયાત્રામાં સમગ્ર ગામ હીબકે ચઢ્યું હતું અને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *