મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકીના 24 કલાકમાં જ મેચ યોજવાનો નિર્ણય
ધર્મશાલામાં યોજાનારી IPLની મેચ મોદી સ્ટેડિયમમાં રમાશે
મુંબઈ-પંજાબ વચ્ચે 11 મેના રોજ ખેલાશે જંગ,
આગામી 11 મેના રોજ મુંબઈ અને પંજાબ વચ્ચેની ધર્મશાલામાં યોજાનારી IPL-25ની મેચ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મેચ પહેલાં ધર્મશાલાને બદલે મુંબઈમાં યોજવાનું આયોજન હતું, પરંતુ પંજાબે ન્યૂટ્રલ સ્થળની માગ કરતાં હવે આ મેચ મોદી સ્ટેડિયમમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકીના 24 કલાકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ગત 7 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળતાં એજન્સીઓમાં દોડધામ મચી હતી. પાકિસ્તાનના નામથી GCAને એક ઇ-મેલ મળ્યો છે, જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઇ-મેલ થોડા સમય પહેલાં GCAને મળતાં આ અંગેની જાણ અમદાવાદ પોલીસને કરવામાં આવી હતી. એ અંગે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને બોમ્બ-સ્ક્વોડ દ્વારા સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. GCAનેજે ઈ-મેલ મળ્યો હતો એ જર્મની-રોમાનિયાથી ઓપરેટ થયો હોવાની પ્રાથમિક વિગતો મળી હતી. અજાણ્યા ઈ-મેલ બાબતે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે સિનિયર IPS અધિકારીએ જણાવ્યું હતું કે આ ઇ-મેલ પાકિસ્તાન જેકે-વેબના નામનો મળ્યો છે અને એક લાઈનમાં ‘We Will Blast Your Studium’ લખ્યું છે. આગામી દિવસમાં IPLની મેચ યોજાવાની છે અને આ ઇ-મેલને સહેજ પણ સરળતાથી ન લેવાની જગ્યાએ હાલ તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ 7 મે, 2025ની વહેલી સવારે ઓપરેશન સિંદૂરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાં પર એર સ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં હાજર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. તો બીજી તરફ પાકિસ્તાન તરફથી સતત સિઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. આ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ધમકીભર્યો ઇ-મેલ મળતાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે……કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી