વાવ-થરાદમાં ઠાકરસી રબારીના ભાજપ પર આકરા પ્રહાર
સરકાર મા-બાપ છે, લૂંટારી નથી
ભાજપ પર પોલીસના કથિત દુરુપયોગ અંગે ગંભીર આક્ષેપો
વાવ-થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર પોલીસના કથિત દુરુપયોગ અંગે ગંભીર આક્ષેપો કર્યા છે.
વાવ-થરાદ જિલ્લામાં કોંગ્રેસના આગેવાન ઠાકરશી રબારી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ચૂંટણી પ્રક્રિયામાં પોલીસની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા હતા. ઠાકરશી રબારીએ જણાવ્યું હતું કે, “ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની છે, તો પોલીસને શા માટે આગળ કરવામાં આવે છે ? જો ભાજપમાં તાકાત હોય તો ખુલ્લા મેદાનમાં આવીને સીધી લડત આપે, પોલીસને વચ્ચે ન લાવે. તેમના નિવેદન બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પણ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, “ભાજપ પોતાના દમ પર ચૂંટણી જીતી શકે તેમ નથી. તેથી પોલીસના દબાણમાં ઉમેદવારોના ફોર્મ ખેંચાવવા અને તેમને ધમકાવવાની ઘટનાઓ સામે આવી રહી છે.”
રાજ્યભરમાં ભાજપના પક્ષમાં પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવે છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને આવો સહકાર મળતો નથી. બંને નેતાઓએ આને લોકશાહી પર પ્રહાર ગણાવ્યો હતો. કોંગ્રેસના આ આક્ષેપો બાદ હવે ભાજપ તરફથી શું પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું. ચૂંટણી પહેલા આવા નિવેદનોથી રાજકીય માહોલ વધુ ગરમાયો છે. ત્યારે ભાજપ પ્રવક્તા સરદારસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યભરમાં ભાજપની તરફેણમાં સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. પાર્ટી દ્વારા કરાયેલા વિકાસના કાર્યોને લઈને ભાજપના કાર્યકરો લોકો વચ્ચે જઈ રહ્યા છે અને જનતા તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભાજપને મળતા જનસમર્થનને જોઈને કોંગ્રેસના નેતાઓ હતાશ થયા છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

