સુરતમાં સાયબર ક્રાઇમ સેલનો તેરા તુજકો અર્પણ
છેતરપિંડીના ભોગ બનેલા નાગરિકોને મોટી રાહત
15 અરજદારોને પ્રતીકરૂપે રિફંડના ચેક અર્પણ
સુરત શહેર સાયબર ક્રાઇમ સેલની તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ સાયબર છેતરપિંડીના ભોગ બનેલા નાગરિકોને મોટી રાહત મળી હોય તેમ ચાલુ વર્ષમાં 61 અરજદારોને કુલ 2.52 કરોડની રકમ પરત આપવામાં આવી છે, જ્યારે આજે 15 અરજદારોને પ્રતીકરૂપે રિફંડના ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં.
સાયબર ક્રાઇમના વધતા બનાવો વચ્ચે સુરત શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અસરકારક સાબિત થઈ રહ્યું છે. તા. 1 જાન્યુઆરીથી 30 જૂન 2026 દરમિયાન સાયબર છેતરપિંડીના ભોગ બનેલા નાગરિકોને ન્યાય અપાવવા માટે સાયબર ક્રાઇમ સેલે બેંકો અને લોક અદાલતો સાથે સંકલન કરી નોંધપાત્ર કામગીરી કરી છે. અત્યાર સુધીમાં 1,824 અરજદારો માટે અંદાજે 13.38 કરોડની રકમ પરત અપાવવા કોર્ટના આદેશ મેળવવામાં આવ્યા છે, જ્યારે આગામી લોક અદાલતમાં વધુ 1,690 અરજદારોના આશરે 7 કરોડના રિફંડના કેસ રજૂ કરાશે. માત્ર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદોમાંથી જ 61 અરજદારોને 2.52 કરોડની રકમ સફળતાપૂર્વક પરત અપાઈ છે.
આ પ્રસંગે પોલીસ દ્વારા નાગરિકોને 1930 હેલ્પલાઇન પર તાત્કાલિક ફરિયાદ નોંધાવવા, શંકાસ્પદ લિંક અથવા એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવા તેમજ ઓનલાઇન રોકાણ અને ડિજિટલ અરેસ્ટ જેવી છેતરપિંડીથી સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી હતી.

