ભાવનગર આદપુર રોડ પર વિવાદિત જમીન મામલે ફરી તણાવ
વર્ષો જૂના કોર્ટ કેસમાં ચુકાદો આવ્યા બાદ પણ જમીન પર ફરી કબજો
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના આદપુર રોડ પર આવેલી વિવાદિત જમીન મામલે ફરી એકવાર તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. વર્ષો જૂના કોર્ટ કેસમાં ચુકાદો આવ્યા બાદ પણ જમીન પર ફરી કબજો કરાયો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
મહિતી અનુસાર, આદપુર રોડ પર આવેલી જમીન વર્ષ 1993થી કોર્ટ કેસ હેઠળ હતી. લાંબા સમયથી ચાલતા વિવાદ બાદ નામદાર કોર્ટ દ્વારા સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો હતો કે જમીનનો કબજો મૂળ હકદારને સોંપવામાં આવે. કોર્ટના આદેશ મુજબ, કોર્ટના કર્મચારીઓ અને પોલીસની હાજરીમાં જમીનનો કબજો સોંપવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી. છતાંય, હવે ફરીથી સામે પક્ષ દ્વારા જમીન પર પોતાનો હક હોવાનું દર્શાવી કબજો કરી લેવાયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ મામલે બાબુસિંહ પરમારે ગંભીર આરોપો લગાવતા જણાવ્યું છે કે, સામે પક્ષ દ્વારા જ્ઞાતિવાદનો મુદ્દો ઉભો કરી જમીન પર કબજો કરવાની સજિશ રચવામાં આવી છે. તેઓએ આગળ જણાવ્યું કે સામે પક્ષ પાસે કોઈ મજબૂત દસ્તાવેજી પુરાવા નથી, અને માત્ર એક સ્ટેમ્પ પેપરના આધારે જમીન પર કબજો કરી દેવાયો છે. “અમને કોર્ટનો હુકમ મળ્યો છે અને કાયદેસરની રીતે જમીન સોંપાઈ ગઈ હતી. છતાં હવે ફરીથી ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવ્યો છે. સામે પક્ષ પાસે કોઈ પુરાવો નથી, માત્ર સ્ટેમ્પ પેપર બતાવીને દબાણ કરવામાં આવી રહ્યું છે.”
હાલમાં આ સમગ્ર મામલે ફરીથી કાનૂની લડાઈ શરૂ થવાની શક્યતા છે. સાથે જ સ્થાનિક સ્તરે પણ તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. કોર્ટના સ્પષ્ટ હુકમ બાદ પણ જો આવી રીતે જમીન પર કબજો કરવામાં આવે, તો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થાય છે. હવે જોવાનું રહેશે કે આ મામલે પ્રશાસન શું પગલાં ભરે છે…

