સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ફરી વિવાદમાં
નારાયણ સાંઈના સેપરેટ સેલની ખોલીમાં મોબાઈલ ફોન
સચીન પોલીસ મથકે ગુનો નોંધાયો
સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં નારાયણ સાંઈના સેપરેટ સેલની ખોલીમાંથી મોબાઈલ ફોન મળી આવતા સચીન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
સુરતની લાજપોર જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે, જ્યાં બળાત્કારના ગુનામાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા વિવાદાસ્પદ ધર્મગુરૂ નારાયણ સાંઈની બેરેકમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. લાજપોર જેલમાં ચેકિંગ દરમિયાન ઈન્ચાર્જ જેલર દીપક ભાભોરને બાતમી મળી હતી કે, પાકા કામના કેદી નારાયણ સાંઈ પાસે મોબાઈલ ફોન છે. બાતમીના આધારે જેલની ઝડતી સ્કવોર્ડ નારાયણ સાંઈના સેપરેટ સેલની ખોલી નં. 1 માં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન જેલના લોખંડના દરવાજા પાછળ ચુંબક વડે એક મોબાઈલ ફોન ચોંટાડેલો મળી આવ્યો હતો. એટલું જ નહીં તેની પાસેના થેલામાંથી Jio કંપનીનું એક સીમકાર્ડ પણ મળી આવ્યું હતું. જોકે, નારાયણ સાંઈ ફોન પર વાતચીત કર્યા બાદ ફોનમાંથી બેટરી અને સિમકાર્ડ કાઢી લેતો હતો. સિમકાર્ડ તે પોતાની પાસે રાખતો હતો, જ્યારે બેટરી તે સુરક્ષા માટે સંત્રીરૂમમાં છુપાવી દેતો હતો. ઝડતી દરમિયાન સિપાઈએ સંત્રીરૂમના દરવાજાના અંદરના ભાગે આવેલા નકુચા પાસેથી આ છુપાવેલી બેટરી કબજે કરી હતી.
