સુરત પોલીસ કમિશનરની અમદાવાદ બદલી
જ્વેલર્સ એસોસિએશન દ્વારા ભાવભીની વિદાય
એસોસિએશને તેમની કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી
સુરતથી અમદાવાદ બદલી પામેલા પોલીસ કમિશનરને સુરત જ્વેલર્સ એસોસિએશન દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી. જ્વેલરી ઉદ્યોગની સુરક્ષા અને પ્રશ્નોના ઝડપી નિરાકરણ બદલ એસોસિએશને તેમની કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
સુરત જ્વેલર્સ એસોસિએશન દ્વારા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતને ભાવભીની વિદાય અને અભિવાદન આપવામાં આવ્યું હતું. એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું કે કિંમતી સોના-ચાંદીના જ્વેલરી ઉદ્યોગની સુરક્ષા જાળવવામાં અને વેપારીઓની નાની-મોટી સમસ્યાઓના ત્વરિત તથા સુમેળભર્યા નિરાકરણમાં પોલીસ કમિશનરની કામગીરી પ્રશંસનીય રહી છે.
અમદાવાદ ખાતે તેમની બદલી થતાં એસોસિએશને શુભેચ્છાઓ પાઠવતાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જેમ સુરતને તેમની કામગીરીનો લાભ મળ્યો તેમ અમદાવાદના લોકોને પણ તેમની કાર્યશૈલીનો લાભ અને વધુ સારી સુરક્ષા મળશે. કાર્યક્રમ દરમિયાન એસોસિએશનના આગેવાનોએ પોલીસ કમિશનરનું સન્માન કરી શુભેચ્છાઓ અર્પણ કરી હતી.

