ખેડામાં સસ્તા અનાજની દુકાનના પટાવાળાનો આપઘાત.
અલીન્દ્રા ગામે દુકાન પાસેના કૂવામાં કૂદી કરી આત્મહત્યા.
ઈન્ચાર્જ મામલતદારે સમગ્ર ઘટનાને દુઃખદ ગણાવી.
ખેડા વસો તાલુકાના અલીન્દ્રા ગામે સસ્તા અનાજની દુકાનના સેક્રેટરી મનુભાઈ સોલંકીએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. વસો નાયબ મામલતદાર અને સ્ટાફ શુક્રવારના રોજ દુકાન પર આવ્યા હતા અને મનુભાઈએ તેમની હાજરીમાં જ આપઘાત કરી લીધો હતો. પોલીસને જાણ કરતા શોધખોળ શરૂ કરી શનિવારે મૃતદેહ મળતાં બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
ખેડા વસો તાલુકાના અલીન્દ્રા ગામે પુરવઠા નાયબ મામલતદાર અને તેમના સ્ટાફ દ્વારા ત્રણ દિવસથી માનસિક ત્રાસ આપવામાં આવતો હોઈ આ પગલું ભર્યું હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મામલામાં વસો પોલીસ દ્વારા અકસ્માત મોત નોંધ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતકના બહેન અંજુમાસીએ જણાવ્યું હતું કે, ગઈકાલે જે મારા ભાઈને પ્રેશર આપવામાં આવ્યું છે અમને બરોડામાં ખબર પડી કે તમારા ભાઈએ આવુ કર્યુ છે. અહીં આવીને અમે તપાસ કરી ત્યારે અમને ખબર પડી કે નાયબ મામલતદાર કેટલાક દિવસથી એમને ટોર્ચર કરતા હતા. અમને ન્યાય જોઈએ, અમે ન્યાય માટે લડીશું.
જૂન મહિનામાં અલિન્દ્રાની દુકાનને મલિયાતજ ગામનો પણ ચાર્જ સોંપવામાં આવ્યો હતો, જેમાં અનાજનો જથ્થો વિતરણ કરાયો નથી અને સગેવગે કરાયો હોવાની અરજી મામલતદારને કરવામાં આવી હતી. આની તપાસ માટે પુરવઠા નાયબ મામલતદાર સ્ટાફ સાથે પહોંચ્યા હતા, જ્યાં તેમની હાજરીમાં જ મનુભાઈએ આપઘાત કરી લીધો હતો. આ બાબતે ઈન્ચાર્જ મામલતદાર ભાવના રબારીએ જણાવ્યું હતું કે અલિન્દ્રામાં જે દુ:ખદ ઘટના થઈ છે એના માટે ઘણું દુઃખ છે. તેમના પરિવાર માટે ઘણી સહાનુભૂતિ છે. અલિન્દ્રાના જે દુકાનદારને જૂન મહિનાનો મલિયાતજનો ચાર્જ હતો. બે જુલાઈએ મલિયાતજના અરજદારોની લેખિતમાં અરજી આવી હતી કે તેમને જૂન મહિનામાં મલિયાતજમાં અનાજનો જથ્થો ગ્રામજનોને મળ્યો નથી અને સગેવગે થયો છે. તે અરજીના સંદર્ભમાં નાયબ મામલતદાર તેમના સ્ટાફ સાથે તપાસ માટે ત્યાં ગયા હતા. જ્યારે આ સમગ્ર ઘટના થઈ ત્રીજી તારીખે ત્યારે અલિન્દ્રા સહકારી મંડળીના ચેરમેન,સેક્રેટરી અને નાયબ મામલતદાર પુરવઠા ત્રણ સાથે હતા. મરણ જનાર દુકાનદારના પરિવારે જાણવા જોગ લખાવેલ છે. નાયબ મામલતદાર પુરવઠા અત્યારે રજા પર છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

