નાયબ કલેક્ટર ચોટીલાની ત્વરિત કામગીરીથી 24 કલાકમાં સાઇનેજ બોર્ડ લગાવાયા
નેશનલ હાઇવે-47 પર માર્ગ સલામતી માટે તાત્કાલિક પગલાં
વરસાદી માહોલમાં વાહનચાલકોને સાવચેતી રાખવાની અપીલ
માર્ગ સુરક્ષા વધારવા વહીવટી તંત્રની ઝડપી કામગીરી
નાયબ કલેક્ટર ચોટીલાની ત્વરિત કામગીરીથી નેશનલ હાઇવે-47 પર માર્ગ સલામતી માટે 24 કલાકમાં સાઇનેજ બોર્ડ લગાવાયા તેમજ આ વરસાદી માહોલમાં વાહન ચાલકોને સતક રહેવા જણાવ્યું
ચોટીલા-રાજકોટ નેશનલ હાઇવે-47 પર નાની મોલડી ગામ નજીક સિક્સ લેન માર્ગ ફોર લેનમાં પરિવર્તિત થતો હોવાથી ત્યાં યોગ્ય સાઇનેજ બોર્ડના અભાવે વાહનચાલકોને માર્ગ અંગે ગેરસમજ સર્જાતી હતી અને અકસ્માત થવાની સંભાવના અંગેની રજૂઆત નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ચોટીલા એચ.ટી. મકવાણાને પ્રાપ્ત થઈ હતી, રજૂઆતને અત્યંત ગંભીરતાથી લઈ નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણાએ તાત્કાલિક નેશનલ હાઇવે ઓથોરિટીના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરને જરૂરી સૂચનાઓ આપી માર્ગ સલામતીના હિતમાં વિલંબ વિના કાર્યવાહી કરવા જણાવ્યું હતું. નાયબ કલેક્ટરશ્રીની સૂચનાના અનુસંધાને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માત્ર 24 કલાકની અંદર સ્થળ પર જરૂરી સાઇનેજ બોર્ડ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી વાહનચાલકોને લેન પરિવર્તનની પૂર્વ જાણકારી મળી રહે અને અકસ્માતોની સંભાવનામાં ઘટાડો થાય. પ્રશાસન દ્વારા માર્ગ સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જાહેર જનતાના હિત સાથે જોડાયેલી આવી રજૂઆતો પર ત્વરિત અને અસરકારક કાર્યવાહી કરીને સુરક્ષિત તથા સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સતત પ્રયત્નશીલ રહેવાની નાયબ કલેક્ટર શ્રી એચ.ટી. મકવાણાએ ખાતરી વ્યક્ત કરી છે..

