બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં ગેરહાજર શિક્ષકોને શો-કોઝ નોટિસ
માર્ચ 2026ની મૂલ્યાંકન કામગીરીમાં હાજર ન રહેલા શિક્ષકો સામે કાર્યવાહી શરૂ.
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં ગેરહાજર રહેલા શિક્ષકો સામે હવે કાર્યવાહીનો દોર શરૂ થયો હોય તેમ માર્ચ 2026ની બોર્ડ પરીક્ષા બાદ મૂલ્યાંકન કામગીરીમાં હાજર ન રહેલા શિક્ષકોને શો-કોઝ નોટિસ ફટકારી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યુ હતું.
ધોરણ 10 અને 12ની ઉત્તરવહી ચકાસણીમાં ગેરહાજર રહેલા શિક્ષકો સામે શિક્ષણ તંત્ર સખત બન્યું હોય તેમ કેન્દ્રીય મૂલ્યાંકન કેન્દ્રો પર ફરજ બજાવવા હાજર ન રહેલા 197 અને 232 શિક્ષકોને શો-કોઝ નોટિસ આપવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે જણાવ્યુ હતું. સાથે કહ્યુ હતું કે શિક્ષકોએ પોતાની ગેરહાજરી અંગે સત્તાવાર ખુલાસો આપવાનો રહેશે. સત્તાવાર અન્ય ફરજનો આદેશ, તબીબી કારણો અથવા શાળાના આચાર્ય દ્વારા અગાઉથી મંજૂર કરાયેલી મુક્તિ જેવા કારણો રજૂ કરી શકાશે. મળેલા તમામ ખુલાસા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સમક્ષ મોકલવામાં આવશે અને તેની ચકાસણી કરાશે. જો જવાબ સંતોષકારક નહીં જણાય તો બેદરકારી બદલ વહીવટી અથવા નાણાકીય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

