સુરતના ભેસ્તાન વિસ્તારના ભગવતીનગરમાં પાણીની ગંભીર સમસ્યા
છેલ્લા 12 દિવસથી પૂરતું પાણી નહીં મળતા પરિવારો મુશ્કેલીમાં
ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી અપાઈ રહ્યું છે
સુરતના ભેસ્તાન વિસ્તારના ભગવતીનગરમાં પાણીની ગંભીર સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 12 દિવસથી પૂરતું પાણી નહીં મળતા ચાર હજારથી વધુ પરિવારો મુશ્કેલીમાં મુકાયા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતાં.
સ્માર્ટ સીટી સુરતની એવોર્ડ વિનર સુરત મહાનગર પાલિકાના બેજવાબદાર અધિકારીઓના પાપે કેટલાક વિસ્તારમાં આજે પણ સુવિધાને લઈ વિરોધ જોવા મળે છે. ત્યારે સુરતના ભેસ્તાન ભગવતીનગર વિસ્તારમાં પાણીની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યુ હતુ કેછેલ્લા 12 દિવસથી ઘરોમાં પૂરતું પાણી પહોંચી રહ્યું નથી જેના કારણે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં ભારે હાલાકી પડી રહી છે. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે નજીકના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી અપાઈ રહ્યું છે, જ્યારે રહેણાંક વિસ્તારના લોકો પાણી માટે ભટકી રહ્યા છે. ચાર હજારથી વધુ પરિવારો પાણીની સમસ્યાથી પ્રભાવિત બન્યા છે. તો સ્થાનિકોએ પાણી પુરવઠા વિભાગમાં અનેકવાર રજૂઆતો કરી હોવા છતા કોઈ કામગીરી ન કરી સમસ્યાનુ હજુ સુધી કોઈ યોગ્ય નિરાકરણ કરાયુ ન હોવાના આક્ષેપો કર્યા હતાં. સાથે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને અને વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી હતી.

