બામરોલીના સરપંચે ત્રણ સંતાનનો નિયમ તોડ્યો,
મહિલા સરપંચને હોદ્દા પરથી ગેરલાયક ઠેરવ્યા
જશોદાબેન દશરથભાઈ સોલંકીને તહોદ્દા પરથી દૂર કરવાનો હુકમ
ફરિયાદ બાદ TDOએ લીધો નિર્ણય
ખેડા જિલ્લાના વસો તાલુકાના બામરોલી ગામમાં એક મોટો રાજકીય વિવાદ સામે આવ્યો છે, જેના પગલે ગામના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. ત્રણ સંતાનોના નિયમનું ઉલ્લંઘન કરીને ખોટા દસ્તાવેજો રજૂ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે
બામરોલી ગામમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજેતા બનેલા મહિલા સરપંચે ચૂંટણી લડવા માટે ત્રીજા સંતાનનો ખોટો જન્મ દાખલો રજૂ કર્યો હતો. સરપંચ જસોદાબેન દશરથભાઈ સોલંકી હકીકતમાં ત્રણ સંતાનોની માતા છે. ત્રીજા સંતાન તરીકે અમન નામના પુત્રનો જન્મ વર્ષ 2007 માં થયો હતો. નિયમોનું ઉલ્લંઘન ન થાય તે માટે, તેમણે પુત્રનો જન્મ વર્ષ 2006 માં થયો હોવાના પુરાવા રજૂ કર્યા હતા, જે ખોટા સાબિત થયા. તપાસના અંતે, તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા પંચાયતી અધિનિયમ અંતર્ગત કાર્યવાહી કરીને જસોદાબેન સોલંકીને તાત્કાલિક અસરથી સરપંચના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી બામરોલી ગામના રાજકારણમાં ગરમાવો આવ્યો છે
ગામના જ નાગરિક નટવરભાઈ સોલંકીએ આ ગંભીર બાબતે તાલુકા વિકાસ અધિકારીથી લઈને જિલ્લા સ્તરે લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે થયેલી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વિજેતા સરપંચ જસોદાબેનના પુત્ર અમનનો જન્મ વર્ષ 2007 માં થયો હતો, જે ચૂંટણી લડવાના નિયમોનું ઉલ્લંઘન હતું…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

