સુરતમાં વરાછાની એસબીઆઈ બેંક લુંટ બાદ સચીન પોલીસ એલર્ટ
સચીન પોલીસે વેપારીઓ સાથે લોક દરબાર યોજ્યો
દુકાનોમાં લગાવેલા સીસીટીવી કેમેરા સુરક્ષિત રાખવા સૂચના
સુરતમાં વરાછાની એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખની લુંટ બાદ સચીન પોલીસ એલર્ટમાં આવી હોય તેમ સચીન પોલીસે વેપારીઓ સાથે લોક દરબાર યોજ્યો હતો અને સુરક્ષા વધારવાની અપિલ કરી હતી.
સુરત શહેરના વરાછા વિસ્તારમાં થોડા દિવસો પહેલા થયેલી લૂંટ અંગે સચિન પોલીસ સ્ટેશન દ્વારા આજે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેર પોલીસના ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લોક દરબાર દરમિયાન, ડીસીપી રાજેશ પરમારે સચિન વિસ્તારના તમામ વેપારીઓને અપીલ કરી હતી કે તેઓ તેમના મથકો અને દુકાનોમાં ફરજિયાતપણે સીસીટીવી કેમેરા લગાવે. તેમણે સલાહ આપી હતી કે જો તેઓ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે ગતિવિધિ જુએ તો તાત્કાલિક સ્થાનિક સચિન પોલીસને જાણ કરે. તેમણે વેપારીઓને પણ સલાહ આપી હતી કે તેઓ તેમની દુકાનોમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ડીવીઆર સુરક્ષિત અને ગુપ્ત જગ્યાએ રાખે, જેથી કોઈ બહારના લોકો તેમની પાસે પહોંચી ન શકે. સમાજ અને વેપારીઓની સલામતી અંગે ઘણા મહત્વપૂર્ણ સૂચનો અને જાગૃતિના મુદ્દા પણ શેર કરવામાં આવ્યા હતાં.

