સુરતના પાંડેસરા ખાતે જ્વેલર્સની છતના પતરા કાપી ચોરી
બન્ને રીઢાઓ યુપીના કાનપુર પહેલા રનીયાની હદમાંથી ભાગી છુટ્યા
ભાગી છુટેલા રીઢાઓ પાસેથી મુદ્દામાલ કબ્જે કરાયો
સુરતના પાંડેસરા ખાતે જ્વેલર્સની દુકાનના છતના પતરા કાપી દુકાનમાં ઘુસી લાખોની ચોરી કરી ભાગી છુટેલા રીઢાઓ પાસેથી બસ ચાલક અને કન્ડકટર દ્વારા મુદ્દામાલ કબ્જે કરાયો હતો જો કે તક જોઈ બન્ને રીઢાઓ યુપીના કાનપુર પહેલા રનીયા પોલીસ સ્ટેશનની હદમાંથી ભાગી છુટ્યા હોવાનુ પોલીસે જણાવ્યુ હતું. તો આરોપીઓને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
સુરતના પાંડેસરા પોલીસ મથકની હદમાં આવેલી કૃષ્ણા જવેલર્સમાં 27 થી 28 જૂનની વચ્ચે અજાણ્યા તસ્કરોએ છતના પતરા કાપી દુકાનમાં પ્રવેશ કરીને ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 7.62 લાખની ચોરી કરી હતી. આ બનાવ અંગે પાંડેસરા પોલીસમાં ગુનો નોંધ્યો હતો. અને ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર નિધી ઠાકુરની સુચનાને લઈ મદદનીશ પોલીસ કમિશનર ઝેડઆર દેસાઈના માર્ગદર્શન હેઠળ પીઆઈ કેડી જાડેજાની ટીમ પીએસઆઈ કેજે વસાવા સાથે તપાસમાં જોડાઈ હતી અને જ્વેલર્સની આજુબાજુના કેમેરા ચેક કરતા બે ઈસમો શંકાસ્પદ લાગતા તેઓની તપાસ કરતા તેઓ રીક્ષામાં બેસી પહેલા પારસી પંચાયત કમ્પાઉન્ડ અને ત્યાંથી બીજી રીક્ષામાં કામરેજ પહોંચી ત્યાંથી એસકેટી ટ્રાવેલ્સની બસમાં યુપીના કાનપુર રવાના થયા હતાં. જે અંગેની માહિતી મળતા જ પોલીસે બસ કન્ડકટરનો નંબર મેળવી ફોટાઓ મોકલી આરોપીઓને નજીકના પોલીસ મથકે લઈ જવા જણાવ્યુ હતુ જો કે કાનપુર પહેલા રનીયા પોલીસ મથક પાસે બન્ને ચોરોને શંકા જતા તેઓ ચોરાયેલ દાગીના વાળા બેગ છોડી ભાગી છુટયા હતા. જેથી રાનીયા પોલીસ મથકેથી પાંડેસરા પોલીસે તમામ મુદ્દામાલ 5 લાખ 83 હજારથી વધુના ચાંદીના દાગીના કબ્જે લઈ આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતાં.

