સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ
ઉન ભેસ્તાન રોડ પર આવેલા ધાર્મિક સ્થળમાં ચોરી
મદ્રેસામાં રહેલા લોકો સમયસર જાગી જતા આગ કાબુમાં
સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઉન ભેસ્તાન રોડ પર આવેલા ધાર્મિક સ્થળમાં ચોરી અને આગની ઘટનાને લઈ પોલીસે દોડી જઈ તપાસ હાથ ધરી છે.
સુરતમાં સતત ચોરી સહિતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના ઉન-ભેસ્તાન રોડ પર આવેલી મદ્રેસામાં ચોરી અને આગજનીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. ગત 24મી માર્ચ 2026ના રોજ વહેલી સવારે પોણા ચાર વાગ્યાની આસપાસ બુરખાધારી શખ્સ મદ્રેસામાં પ્રવેશતો સીસીટીવી માં સ્પષ્ટ કેદ થયો હતો. પોતાની ઓળખ છુપાવવા બુરખો પહેરીને ગેટમાંથી અંદર જઈ આરોપી સીધો મદ્રેસાની ઓફિસ સુધી પહોંચ્યો હતો. ઓફિસનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી આરોપીએ તિજોરી અને કબાટને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. તિજોરીમાંથી અંદાજે 7.50 લાખ રોકડ રકમ અને ટેબલ પર રાખેલા આશરે 95 હજારના 4 એન્ડ્રોઈડ મોબાઈલ મળી 8.45 લાખની મત્તાની ચોરી કરીને આરોપી ફરાર થતા પહેલા આરોપીએ ઓફિસમાં આગ ચાપી દેતા દસ્તાવેજો, ફર્નિચર અને કોમ્પ્યુટર બળી ગયા હતા. જેને લઈ ધાર્મિક સ્થળને મોટો આર્થિક ફટકો પડ્યો હતો. સદનસીબે મદ્રેસામાં રહેલા લોકો સમયસર જાગી જતા આગને કાબૂમાં લઈ લેવાઈ, નહીતર મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. હાલ તો મદ્રેસાના સંચાલક દ્વારા ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે. બીજી તરફ ભેસ્તાન પોલીસ સાથે પાંડેસરા પોલીસે પણ સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

