Site icon hindtv.in

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલયમાં રાજીનામાનો ડ્રામા

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલયમાં રાજીનામાનો ડ્રામા
Spread the love

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલયમાં રાજીનામાનો ડ્રામા
સસ્પેન્ડ થયેલા કાર્યકરોએ રાજીનામું આપી રચ્યું કાવતરું
અશોક માંગરોળીયા અને નિલેશ સાવલિયાએ ભાજપનો ખેસ પરત કર્યો

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજકીય ડ્રામા સર્જાયો હતો. ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા બે કાર્યકરોએ કાર્યાલય પહોંચી રાજીનામું આપ્યાની જાહેરાત કરી હતી, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે.

અમરેલી તાલુકાના જશવંતગઢ ગામના અશોક માંગરોળીયા અને નિલેશ સાવલિયા નામના આ બંને કાર્યકરો ભાજપનો ખેસ પહેરી કાર્યાલયે પહોંચ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ ભાજપ સામે ન્યાય ન મળવાના આક્ષેપો કર્યા હતા અને લેખિતમાં રાજીનામું સુપરત કર્યું હતું.આ સમગ્ર ઘટના અંગે જિલ્લા ભાજપ મહામંત્રી રાજુ ભૂતેયાએ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ બંને કાર્યકરોને પાર્ટી દ્વારા અગાઉ જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપને બદનામ કરવાના ઇરાદાથી તેઓએ કાર્યાલય ખાતે આવી રાજીનામું આપવાનો દેખાવ કર્યો છે. રાજુ ભૂતેયાએ વધુમાં જણાવ્યું કે અશોક માંગરોળીયાને 29/12/2024 ના રોજ પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેવી જ રીતે, નિલેશ સાવલિયાને પણ 29/12/2024 ના રોજ પ્રાથમિક સભ્ય તરીકે ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા હતા.

અશોક માંગરોળીયાએ જણાવ્યું કે તેઓ છેલ્લા 25 વર્ષથી પાર્ટીમાં કામ કરી રહ્યા હતા અને અલગ અલગ સ્તરે રજૂઆતો કરી હતી, પરંતુ તેમને ન્યાય મળ્યો ન હતો. તેમણે આક્ષેપ કર્યો કે પાર્ટીમાં માત્ર એક જ વ્યક્તિનું ચાલી રહ્યું છે, જેના કારણે તેમણે રાજીનામું આપ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ખેંચતાણ શરૂ થઈ છે. એવી અટકળો ચાલી રહી છે કે આ બંને સસ્પેન્ડ કરાયેલા કાર્યકરો સાંજે 4 વાગ્યે આમ આદમી પાર્ટીના કેજરીવાલની સભામાં ‘આપ’નો ખેસ ધારણ કરી શકે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Exit mobile version