નવસારી કુદરતી કાંસ પરના દબાણ સામે તંત્રની લાલ આંખ
તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી
નવસારી જિલ્લામાં ગત દિવસોમાં આવેલા ભારે પૂર બાદ કુદરતી કાંસ અને ડ્રેનેજ ઉપર થયેલા દબાણને લઈને જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. પૂર માટે કાંસ ઉપરના દબાણને પણ જવાબદાર માનવામાં આવતા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
નવસારી શહેરને અડીને આવેલા નિરાલી હોસ્પિટલની બહાર આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. નિરાલી હોસ્પિટલ દ્વારા કુદરતી કાંસ ઉપર દબાણ કરાયું હોવાના આક્ષેપોને પગલે તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી.
નેશનલ હાઈવે નંબર 48 વિસ્તારમાં કરાયેલ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ અને પોલીસ બંદોબસ્તની હાજરીમાં દબાણ ઉપર બુલડોઝર ફેરવી કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, નિરાલી હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઉપરાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

