નડિયાદની હોટલમાં પનીર ચીલીમાંથી નીકળ્યો વંદો
નડિયાદ કોર્પોરેશને વંદો નીકળતા હોટલ કરી સીલ
વલ્લભનગર ચોકડી પાસે આવેલી રવિન્દ્ર નાનકિંગ હોટલ સીલ
રાજ્યમાં ફરી એકવાર જાહેર આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાની બે મોટી ઘટનાઓ સામે આવી છે. એક તરફ નડિયાદની એક પ્રખ્યાત હોટલની પનીર ચિલી વાનગીમાં વંદો નીકળ્યો હતો, જ્યારે બીજી તરફ રાજકોટમાં એક ડેરીમાંથી વેચાતી મીઠાઈમાં જીવતી ઈયળ નીકળી હોવાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે. આ ગંભીર કિસ્સાએ તહેવારો ટાણે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે.
નડિયાદમાં વલ્લભનગર ચોકડી પાસે આવેલી રવિન્દ્ર નાનકિંગ હોટલમાં ગ્રાહકે ઓર્ડર કરેલા પનીર ચીલીમાંથી મરેલો વંદો નીકળતા ભારે હોબાળો મચી ગયો હતો. આ ઓર્ડર નડિયાદ નગર પાલિકાના પૂર્વ કારોબારી ચેરમેનના ભાઈનો હોવાનું સામે આવ્યું છે. પેક કરાવેલ ઓર્ડર ઘરે જઈને ખોલતા અંદરથી વંદો નીકળ્યો હતો, જેના પગલે તુરંત ફરિયાદ કરવામાં આવી હતી. ગ્રાહક દિવ્યેશ બ્રહ્મભટ્ટ દ્વારા આ હોટલમાંથી પનીર ચિલીનો ઓર્ડર પેક કરાવવામાં આવ્યો હતો. જ્યારે તેઓ ઘરે જઈને ઓર્ડર ખોલી રહ્યા હતા ત્યારે તેમને વાનગીની અંદરથી મરેલો વંદો મળ્યો હતો, જેના પગલે તેઓ ચોંકી ઊઠ્યા હતા. ગ્રાહક દ્વારા આ અંગે તરત નગરપાલિકામાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદને આધારે નડિયાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે હોટલ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન વંદો નીકળવા ઉપરાંત હોટલમાં ગંદકી પણ મળી આવી હતી. જાહેર આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ કોર્પોરેશને તાત્કાલિક અસરથી રવિન્દ્ર નાનકિંગ હોટલને સીલ કરી દીધી છે. આ અંગે નડિયાદ મનપાના ચીફ સેનિટરી ઇન્સ્પેકટર મયંક દેસાઈએ જણાવ્યું હતું કે ગ્રાહકના ઓર્ડરમાંથી વંદો મળ્યો હતો અને પ્રાથમિક તપાસમાં હોટલમાં મોટા પ્રમાણમાં ગંદકી પણ જોવા મળી હતી, જે ફૂડ સેફ્ટી અને સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારી આવી બેદરકારીને બિલકુલ સહન કરવામાં આવશે નહીં. ગ્રાહકના ઓર્ડરમાંથી વંદો નીકળવા અને હોટલમાં ગંભીર ગંદકી મળી આવવાને કારણે કોર્પોરેશનની ટીમે તરત કાર્યવાહી કરીને ‘રવીન્દ્ર નાનકિંગ’ હોટલને સીલ મારી દીધું છે. આ ઉપરાંત હોટલને 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

