ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે,
બારડોલીના અનેક ગામો સંપર્કવિહોણા
બારડોલી: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણીનો મોટો જથ્થો છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે. ડેમનું જળસ્તર જાળવી રાખવા માટે ડેમના નવ ગેટ ખોલીને નદીમાં એક લાખ પચ્ચીસ હજાર ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. આ પાણીના પ્રવાહને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
પાણીના પ્રવાહના કારણે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરિપુરા ગામે આવેલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ સિઝનમાં પ્રથમવાર કોઝવે પર પાણી ફરી વળ્યા છે. જેના પરિણામે હરિપુરા કોઝવેની પેલે પાર આવેલા ઉન,કોસાડી, ગોદાવાડી, ખંજરોલી સહિત સાતથી વધુ ગામોનો કડોદ, બારડોલી અને સુરત તરફનો સીધો માર્ગ સંપર્ક તૂટી ગયો છે. હવે આ ગામોના સ્થાનિકોને બારડોલી કે સુરત જવા માટે ૨૦ કિલોમીટરથી વધુનો ચકરાવો ફરીને જવું પડશે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સુરક્ષિત રહેવા અને નદી કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે…

