સુરત: અશ્વિની કુમાર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે મનપાની લાલ આંખ
4 માળની મંજૂરી સામે 6 માળનું બાંધકામ કરનાર બિલ્ડર સામે કાર્યવાહી
મનપાના ડીમોલેશન સેલે બુલડોઝર ફેરવી ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું
સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ સામે મનપાએ લાલ આંખ કરી હોય તેમ પરમિશન ચાર માળની હોવા છતાં છ માળનું બાંધકામ કરનાર બિલ્ડર સામે ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
સુરતના ટીપી સ્કીમ નંબર-4 અશ્વિની કુમાર નવાગામ રેવન્યુ સર્વે નંબર 1440ની કુલ છ બિલ્ડીંગોમાં મનપાના મધ્યસ્થ શહેર વિકાસ વિભાગ દ્વારા ડિમોલીશન હાથ ધરાયું હતું. ચાર માળની બાંધકામ પરમિશન હોવા છતાં બિલ્ડર દ્વારા વધારાના બે માળ તાણી દેવામાં આવ્યા હતા. અગાઉ મનપા દ્વારા નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં બાંધકામ ચાલુ રાખવામાં આવતા અંતિમ નોટિસ બાદ મનપાએ હથોડો ઝીંક્યો હતો. છ બિલ્ડીંગોમાં ગેરકાયદે રીતે ઉભું કરાયેલું 1800થી વધુ સ્ક્વેર ફૂટનું આરસીસી સ્ટ્રક્ચર અને ચણતર તોડી પાડવામાં આવ્યું હતું. જે અંગે મનપાના શહેરી વિકાસ વિભાગના ડેપ્યુટી ટાઉન પ્લાનરે માહિતી આપી હતી.

