જૂનાગઢ શહેરની ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ
રેલવે ફાટકનો મુદ્દો હવે ગુજરાતની હદ વટાવીને સીધો દિલ્હીમાં
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો
જૂનાગઢ શહેરની ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ બનેલા રેલવે ફાટકનો મુદ્દો હવે ગુજરાતની હદ વટાવીને સીધો દિલ્હીમાં ગુંજી ઉઠ્યો છે.
સૌથી વધુ નવાઈની વાત એ છે કે, લોકોના માથાના દુખાવા સમાન આ ગંભીર પ્રશ્ન જૂનાગઢના ચૂંટાયેલા ધારાસભ્યો કે સાંસદને બદલે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો છે. આના કારણે સોશિયલ મીડિયા પર સ્થાનિક ભાજપના જનપ્રતિનિધિઓની લોકોની સમસ્યાઓ પ્રત્યેની રજૂઆત અને સક્રિયતા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં જૂનાગઢ શહેરમાં આવેલા રેલવે ફાટકને લઈને ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ગુજરાતનું ઐતિહાસિક અને પ્રવાસી આકર્ષણનું કેન્દ્ર બનેલું જૂનાગઢ શહેર જૂની રેલવે લાઇનથી ઘેરાયેલું છે. શહેરમાં 7 અને શહેર બહારના મળીને કુલ 11થી વધુ રેલવે ફાટકો આવેલા છે.
જૂનાગઢ શહેરની વચ્ચે આવેલા રેલવે ટ્રેક પરથી ટ્રેન પસાર થવાના કારણે વારંવાર ફાટકો બંધ થાય છે, જેનાથી શહેરીજનોને ભારે હાલાકી અને ટ્રાફિકની ગંભીર સમસ્યા ભોગવવી પડે છે. આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમણે સરકારને અનુરોધ કર્યો હતો. થોડા સમય પહેલા દિવ્ય ભાસ્કરે રેલવે ફાટકની સમસ્યા પર ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના આયોજનની ગંભીર ખામીઓ સામે આવી હતી. રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે જોષીપરા વિસ્તારમાં 59 કરોડના ખર્ચે 722 મીટર લાંબો અને 15 મીટર પહોળો પ્રથમ ઓવરબ્રિજ બની રહ્યો હોવા છતાં, તે ટ્રાફિક સમસ્યાનો કાયમી હલ લાવી શકશે નહીં. આયોજન પ્રમાણે, આ ઓવરબ્રિજ ફક્ત એક જ રેલવે ફાટકથી મુક્તિ અપાવશે, જ્યારે અન્ય 9 રેલવે ફાટકો પર ટ્રાફિકની સમસ્યા તેની તે જ રહેવાની છે, જેના કારણે શહેરીજનોને સતત હાલાકીનો સામનો કરવો પડશે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

