ભાવનગરમાં વ્યાજના ચક્કરમાં યુવકનું અપહરણ અને હુમલો
૮ જેટલા શખ્સો દ્વારા રિક્ષામાં અપહરણ કરવામાં આવ્યું
ભાવનગરના આનંદનગર વિસ્તારમાં રહેતા અને ફ્રુટની લારી ચલાવતા સંજય દેવરાજભાઈ ગોહિલ નામના યુવકનું ૮ જેટલા શખ્સો દ્વારા રિક્ષામાં અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે.
ભાવનગરમાં વ્યાજના ચક્કરમાં ભોગ બનનાર યુવકના જણાવ્યા અનુસાર, વ્યાજનો ધંધો કરતા બાદશાહ અને લાલો નામના શખ્સોએ એક દિવ્યાંગ વ્યક્તિને 60% વ્યાજે રૂપિયા આપ્યા હતા અને તેની ગાડી પણ પડાવી લીધી હતી. આ બાબતે સંજયે વચગાળામાં પડીને રજૂઆત કરી હોવાની અદાવત રાખીને, આ શખ્સોએ તેને રિક્ષામાં પકડી લીધો હતો અને તેના પર છરી તથા તલવાર જેવા હથિયારોથી હુમલો કર્યો હતો. અપહરણકારોએ તેને રિક્ષામાં ગોંધી રાખી અલગ-અલગ જગ્યાએ ફેરવીને માર માર્યો હતો અને બાદમાં તેને રુપાણીના ચોક પાસે મૂકીને નાસી છૂટ્યા હતા. હાલ યુવકને સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

