કતારગામ રત્નમાલા બ્રિજનું કામ ધીમી ગતિએ
બાકી કામગીરી ઝડપી પૂર્ણ કરવા રજૂઆત
સુરતના કતારગામ વિસ્તારમાં રત્નમાલા બ્રિજના બીજા ભાગની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. ત્યારે બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરી વાહનચાલકોને રાહત આપવા પૂર્વ મેયર દક્ષેશ માવાણી દ્વારા અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. અમરોલી રિવર બ્રિજથી કતારગામ સુધીના બાકી રહેલા ભાગનું કામ વહેલી તકે પૂર્ણ કરવાની માંગ કરાઈ છે.
કતારગામના રત્નમાલા બ્રિજના બીજા ભાગને લઈને હવે પૂર્વ મેયર દક્ષેશ માવાણી મેદાનમાં આવ્યા છે. બ્રિજની એક સાઈડનો ભાગ અંદાજે છ મહિના અગાઉ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ બીજી સાઈડનું કામ હજુ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. પૂર્વ મેયર દક્ષેશ માવાણીએ અધિકારીઓને રજૂઆત કરી અમરોલી રિવર બ્રિજથી કતારગામ સુધીના બાકી ભાગની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માગ કરી છે. તેમના જણાવ્યા મુજબ શ્રમિકોની અછતના કારણે કામગીરીની ગતિ ધીમી પડી છે. નવરાત્રી સુધીમાં બીજી સાઈડનું કામ પૂર્ણ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બ્રિજનો બીજો ભાગ શરૂ થતાં કતારગામ અને આસપાસના વિસ્તારોના વાહનચાલકોને ટ્રાફિક અને અવરજવરની મુશ્કેલીમાંથી મોટી રાહત મળી શકે છે.

