અરવલ્લીના મેઘરજમાં કંભરોડા ગામનું તળાવ સિંચાઈ માટે બાકાત
70 વીઘાનું વિશાળ તળાવ સિંચાઈ વિભાગની યોજનામાંથી બાકાત
તળાવ સિંચાઈ માટે બાકાત રહેતા ખેતી માટે સંકટ ઊભું થયું….
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કંભરોડા ગામમાં આવેલું 70 વિઘાનું તળાવ રાજ્ય સરકારની સિંચાઈ વિભાગની તળાવ ભરવાની યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યું છે. આ કારણે ચોમાસા સિવાયના સમયમાં તળાવ ખાલી રહે છે, જેના લીધે સ્થાનિક ખેડૂતો સિંચાઈના લાભથી વંચિત રહી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કંભરોડા ગામમાં સિંચાઈ વિભાગ દ્વારા કંભરોડા તળાવથી આશરે 500 મીટર દૂર આવેલા ઇપલોડા ગામના તળાવને વાત્રક નદીમાંથી લિંક કરીને ભરવામાં આવે છે. ખેડૂતોની માંગ છે કે જો આ જ લિંકનો ઉપયોગ કરીને કંભરોડાના તળાવમાં પણ પાણી નાખવામાં આવે તો તે પણ ભરી શકાય છે.આ તળાવ ભરાવાથી આસપાસના ગામોમાં બોર કુવા રિચાર્જ થશે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે. જેના પરિણામે ખેડૂતોને પૂરતી સિંચાઈ મળી રહેશે અને તેઓ સારી ઉપજ મેળવી શકશે. આનાથી આશરે 2000 થી 2500 વિઘા જમીનને સિંચાઈનો લાભ મળી શકે છે.
હાલમાં હવામાન પલટા અને કમોસમી વરસાદને કારણે ખેતી કરવી મુશ્કેલ બની છે, જેનાથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે. આ પરિસ્થિતિમાં સ્થાનિક ખેડૂતો તંત્ર પાસે કંભરોડા તળાવ ભરવાની તાત્કાલિક માંગ કરી રહ્યા છે, જેથી તેમને સિંચાઈનો પૂરતો લાભ મળી શકે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

