પાટણમાં કાર્યકર્તા સંમેલનમાં જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર પ્રહાર.
કોંગ્રેસમાં માત્ર ને માત્ર પરિવારવાદ
દેખાવ અને વિરોધ કરવામાં કોંગ્રેસ નંબર 1
પાટણ ખાતે યોજાયેલા ભાજપના વિધાનસભા કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આગામી ચૂંટણીમાં ભાજપના વિજય માટે હાકલ કરી હતી. તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે દેશની 140 કરોડ જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર વિશ્વાસ છે, જેના કારણે રાહુલ ગાંધી ક્યારેય વડાપ્રધાન બની શકશે નહીં.
પાટણ ખાતે યોજાયેલા ભાજપના વિધાનસભા કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે જ્યારે કોંગ્રેસના લોકો મત માંગવા આવે ત્યારે તેમને 60 વર્ષના શાસનનો હિસાબ માંગવો જોઈએ. તેમણે સામાજિક સૌજન્ય જાળવવાની વાત કરતા ઉમેર્યું કે વિરોધ પક્ષના ધારાસભ્ય કે મિત્રો ઘરે આવે તો ચા-પાણી ચોક્કસ કરાવવા જોઈએ, પરંતુ રાજકીય રીતે તેમને પ્રશ્નો પૂછવા જરૂરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ધારાસભ્ય કિરીટભાઈ વ્યક્તિગત રીતે સારા માણસ હોઈ શકે, પરંતુ પ્રશ્ન કોંગ્રેસની વિચારધારા અને તેમના શાસનકાળ સામે છે.
વંશવાદના મુદ્દે કોંગ્રેસને ઘેરતા તેમણે કહ્યું કે પહેલા પરદાદા, પછી દાદી અને ત્યારબાદ પિતાજી વડાપ્રધાન રહ્યા, અને હવે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનવું છે. જગદીશ વિશ્વકર્માએ દાવો કર્યો કે રાહુલ ગાંધી ગમે તેટલા પ્રયત્નો કરે, પરંતુ દેશની જનતા તેમને વડાપ્રધાન તરીકે સ્વીકારશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતની 140 કરોડ જનતા ભોળી હોઈ શકે છે, પરંતુ તે નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
