સુરતમાં સાવકા પિતાએ પુત્રી સાથે આચર્યું દુષ્કર્મ,
વીડિયો બનાવી બ્લેકમેઈલ કરતો, થઈ ધરપકડ
પોલીસે નરાધમને રાજસ્થાન બોર્ડર પરથી પકડ્યો
સુરતમાં નરાધમો વારંવાર બળાત્કારની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે 15 વર્ષની દીકરી પર સાવકા પિતાએ જ દાનત બગાડી બળાત્કાર ગુજાર્યો હતો. વારંવાર સાવકા પિતાના ત્રાસથી કંટાળી આખરે પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે નરાધમ સાવકા પિતાને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે.
કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી એક કિશોરીના પિતા નાની ઉંમરમાં અવસાન પામ્યા હતા. ત્યાર બાદ તેની માતાના સાસરિયાં પક્ષોએ સંબંધી યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા, ત્યાર બાદ કિશોરી તેની માતા અને સાવકા પિતા સાથે મોટા વરાછા વિસ્તારમાં રહેતી હતી. 12 વર્ષ પહેલાં સાવકા પિતાએ 15 વર્ષની દીકરી પર દાનત બગાડી હતી અને દીકરીની એકલતાનો લાભ લઈ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે સાવકા પિતાએ શારીરિક સંબંધ બાંધતો હોય એવા ફોટા અને વીડિયો પણ ઉતારી લીધો હતો. જેની જાણ દીકરીને પણ ન હતી, જોકે ત્યાર બાદ અવારનવાર છેલ્લાં 12 વર્ષથી સાવકો પિતા તેને હેરાન પરેશાન કરતો હતો અને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો, પરંતુ દીકરી સાવકા પિતાને તાબે થઈ ન હતી. સાવકા પિતાએ છેલ્લાં 12 વર્ષથી વીડિયો વાઈરલ કરી તેને બદનામ કરવાની ધમકી આપી માનસિક રીતે હેરાનપરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું, જેથી આખરે પિતાના ત્રાસથી કંટાળી દીકરીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એને લઈને પોલીસે સાવકા પિતા નરાધમ ભગીરથ નારાયણ ભાર્ગવ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા. સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન, નાયબ પોલીસ કમિશનર ઝોન વન અને મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝનની સુચના મુજબ કાપોદ્રાના ઈન્ચાર્જ પી.આઈ. એમ.ાર. સોલંકી તથા પી.એસ.આઈ. એમ.બી. વાઘેલાની સુચના અને માર્ગદર્શન હેઠલ અનાર્મ હેડ કોન્સ્ટેબલ દામજી ધનજી અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ પાંચાભાઈ તથા રઘુભાઈ મગનભાઈનાઓએ રાજસ્થાન બોર્ડર પરથી બળાત્કારી સાવકા પિતા ભગીરથ નારાયણ ભાર્ગવને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.