નવસારીમાં નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયકનું સન્માન
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ભોજનશાળાનું લોકાર્પણ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત મેળવી બાદ નવસારી જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયકના સન્માનમાં ગણદેવી તાલુકાના અમલસાડ ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો. બીજી તરફ બીલીમોરા સ્થિત શ્રી નવનાથ ધામમાં નવનિર્મિત યાત્રી નિવાસ અને ભોજનશાળાનું લોકાર્પણ પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડગામમાં મહેતાવાડી ખાતે યોજાયેલા અભિવાદન સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયકને સન્માનપત્ર અર્પણ કરી અભિનંદન પાઠવાયા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ બીલીમોરાના શ્રી નવનાથ ધામ ખાતે નવનિર્મિત યાત્રી નિવાસ અને ભોજનશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી નવનાથ ધામનાં શ્રી છોટેદાદા, મહંત યોગી પીર શ્રી બાલકનાથજી પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સી.આર. પાટીલે જળ સંચયના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જળ સંચયના પ્રોજેક્ટથી ખેતી અને પીવાના પાણીની સમસ્યામાં કાયમી રાહત મળશે.
નવસારીના કાંઠા વિસ્તારમાં દરિયાઈ ખારાશથી પ્રભાવિત ગામોમાં પીવાના પાણીની ગુણવત્તા સુધરશે તેમજ ખેડૂતોના બોરવેલ અને કૂવાઓ રિચાર્જ થશે. તળાવોમાં કુદરતી જળ સંચયમાં પણ વધારો થશે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા અંતરિયાળ ગામોના વિકાસ માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે અને આવા વિકાસ કાર્યો દેશની કાયાપલટમાં મહત્વની ભૂમિકા ભજવશે.

