ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીને લઈ ગરમાવો.
ચૂંટણીમાં બનાસકાંઠાના પાલનપુરના પ્રતિનિધિઓ મેદાનમાં ઉતર્યા.
પાલનપુરના 3 પ્રતિનિધિઓએ નોંધાવી ઉમેદવારી.
ગુજરાત બાર કાઉન્સિલની આગામી ચૂંટણી 6 માર્ચના રોજ યોજાવા જઈ રહી છે. વકીલોના હિતોનું રક્ષણ કરતી આ સર્વોચ્ચ સંસ્થા માટેની ચૂંટણીને લઈ સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે ઉત્તર ગુજરાતના વકીલોમાં ભારે ઉત્સાહ છે, કારણ કે સ્થાનિક પ્રતિનિધિત્વ વધારવા માટે પાલનપુરથી સક્ષમ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે
પાલનપુર બાર એસોસિએશનના ત્રણ અગ્રણી વકીલોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. પાલનપુરથી ત્રણ પ્રતિનિધિઓ મેદાનમાં ઉતરતા ચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. આ ઉમેદવારોનો મુખ્ય ઉદ્દેશ્ય બાર કાઉન્સિલમાં ઉત્તર ગુજરાતના વકીલોનો અવાજ બુલંદ કરવાનો છે. સ્થાનિક સ્તરે વકીલોને પડતી હાલાકી અને વહીવટી પ્રશ્નોના નિરાકરણ માટે આ પ્રતિનિધિત્વ અનિવાર્ય હોવાનું મનાઈ રહ્યું છે. ચૂંટણી લડી રહેલા ઉમેદવાર એડવોકેટ એમ.આર ચૌધરીએ જણાવ્યું છે કે તેમની પ્રાથમિકતા ઉત્તર ગુજરાતના વકીલોના હિતોની સુરક્ષા કરવાની રહેશે. વર્ષોથી પડતર પ્રશ્નો, જેવા કે વકીલો માટેનું કલ્યાણ ભંડોળ, નવી કોર્ટ બિલ્ડિંગમાં સુવિધાઓ અને યુવા વકીલોને મળતી સહાય બાબતે યોગ્ય રજૂઆત કરવામાં આવશે. પાલનપુર સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના વકીલો એકજૂટ થઈને પોતાના અધિકારો માટે આ ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવશે.
ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારોએ જનસંપર્ક તેજ કર્યો છે. પાલનપુરના વકીલોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જો તેમને બાર કાઉન્સિલમાં સ્થાન મળશે, તો તેઓ માત્ર પાલનપુર જ નહીં પરંતુ સમગ્ર રિજનના પ્રશ્નોને રાજ્ય કક્ષાએ અસરકારક રીતે ઉકેલશે. 6 માર્ચે યોજાનાર મતદાન ઉત્તર ગુજરાતના વકીલોના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
