નર્મદા ડેડિયાપાડામાં હર્ષ સંઘવીએ ગજવી સભા
ચૈતર વસાવાના ગઢમાં પાડ્યું મોટું ગાબડું
૨૬ તારીખે કમળના નિશાન પર મતદાન કરાવવા હાકલ કરી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે પિઠા ગ્રાઉન્ડ પર આયોજિત ‘વિકાસ વિકલ્પ સભા’માં વિરોધ પક્ષો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આદિવાસી વિસ્તારના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો અને વિરોધ પક્ષોના ભ્રામક પ્રચાર તથા વિદેશી ભંડોળથી સાવધ રહેવા લોકોને આહ્વાન કર્યું.
નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે પિઠા ગ્રાઉન્ડ પર આયોજિત ‘વિકાસ વિકલ્પ સભા’માં ડે.સીએમ સંઘવીએ નામ લીધા વગર જણાવ્યું કે, આગામી ચૂંટણીમાં વિકાસને અવરોધવા માટે અનેક પ્રયાસો થશે. તેમણે દાવો કર્યો કે આ વર્ષે નર્મદા જિલ્લામાં ‘ઝાડુવાળા’ લોકો દિલ્હીથી 20 કરોડ રૂપિયા લાવ્યા છે. તેમણે લોકોને આવા પૈસાથી લલચાઈ ન જવા ચેતવણી આપી. હર્ષ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી સમયમાં નર્મદા જિલ્લો, ખાસ કરીને દેડિયાપાડા વિસ્તાર, પ્રવાસન અને વિકાસની દ્રષ્ટિએ રાજ્યમાં નવી ઊંચાઈઓ સર કરશે. તેમણે કાર્યકરોને ઘરે-ઘરે જઈને સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા અને ૨૬ તારીખે કમળના નિશાન પર મતદાન કરાવવા હાકલ કરી.
આ કાર્યક્રમમાં પૂર્વ વન મંત્રી ગણપતભાઈ વસાવા, પ્રભારી ઈશ્વરભાઈ પટેલ, દૂધ ધારા ડેરી અને ધરીખેડા સુગરના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, સાંસદ મનસુખ વસાવા, પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા, ભાજપ જિલ્લા પ્રમુખ નીલ રાવ સહિત જિલ્લા ભાજપના અનેક આગેવાનો, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

