શામળાજી ખાતે ‘પર્વત પૂજા’ કાર્યક્રમનું ભવ્ય આયોજન.
વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં પ્રકૃતિ મહોત્સવની ઉજવણી.
અરવલ્લી પર્વતમાળામાં 1400 કિમી લાંબી ‘ગ્રીન વોલ’ બનશે
આદિવાસી સંસ્કૃતિએ પર્વતો અને વન્યજીવોનું જતન કર્યું છે: મંત્રી
ક્લાઈમેટ ચેન્જ સામે લડવા વન વિભાગનો વિશેષ પ્રયાસ.
વસંત પંચમીના પવિત્ર અવસરે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે વન વિભાગ દ્વારા ‘પ્રકૃતિ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પર્વત પૂજા કરી પર્યાવરણના જતનની હાકલ કરી હતી. મંત્રીએ હરિયાણાથી ગુજરાત સુધી ફેલાયેલી અરાવલી પર્વતમાળામાં ‘ગ્રીન વોલ’ પ્રોજેક્ટ વિશે પણ મહત્વની માહિતી આપી હતી.
શામળાજીની પાવન ધરા પર આજે વન વિભાગ દ્વારા પ્રકૃતિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ‘પર્વત પૂજા’નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, વન સંસ્કૃતિએ જ માનવ સંસ્કૃતિને જન્મ આપ્યો છે. મંત્રીએ ખાસ કરીને આદિવાસી સમાજનો આભાર માનતા કહ્યું હતું કે, આદિવાસી ભાઈ-બહેનોને કારણે જ આજે આપણા પર્વતો અને વન્યજીવો સુરક્ષિત છે.
આ પ્રોજેક્ટ હેઠળ ‘એક પેડ માઁ કે નામ’ અભિયાન અને વન વિભાગના વિવિધ કાર્યક્રમો દ્વારા પર્યાવરણનું સંતુલન જાળવવા અને ગ્રીન કવર વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ આયોજનથી આગામી સમયમાં ક્લાઈમેટ ચેન્જ જેવી સમસ્યાઓ સામે લડવામાં મોટી મદદ મળશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું..

