પલસાણાના કણાવ ગામે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી
સ્વયંભૂ કણકેશ્વર મહાદેવના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
આજે પવિત્ર ‘મહાશિવરાત્રી’ના પર્વ નિમિત્તે સમગ્ર પલસાણા તાલુકો શિવમય બન્યો છે. ખાસ કરીને તાલુકાના કણાવ ગામે આવેલા સુપ્રસિદ્ધ અને પૌરાણિક એવા સ્વયંભૂ કણકેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડીયારું ઉભરાયું હતું. દેવાધિદેવ મહાદેવના દર્શન અને જલાભિષેક માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.
શ્રદ્ધા અને આસ્થાનો ત્રિવેણી સંગમ કણકેશ્વર મહાદેવ મંદિર પ્રત્યે સ્થાનિકો સહિત સમગ્ર જિલ્લાના ભક્તોમાં અતૂટ શ્રદ્ધા રહેલી છે. માનવામાં આવે છે કે અહીં મહાદેવ સ્વયં બિરાજમાન થયા છે, જેથી આ સ્થાનનો મહિમા વિશેષ છે. શિવરાત્રીના પર્વને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શિવાલયને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું હતું, જેના કારણે મંદિરનું વાતાવરણ દિવ્ય ભાસતું હતું. દૂર-દૂરથી ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ વહેલી સવારના ચાર વાગ્યાથી જ ‘હર હર મહાદેવ’ અને ‘ઓમ નમઃ શિવાય’ના નાદ સાથે ભક્તો મંદિરે પહોંચવા લાગ્યા હતા. માત્ર પલસાણા જ નહીં, પરંતુ સુરત શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો દાદાના આશીર્વાદ લેવા ઉમટી પડ્યા હતા. ભક્તોએ દૂધ, જળ અને બિલીપત્ર ચઢાવી ધન્યતા અનુભવી હતી…
