ગીર સોમનાથ ખાપટમાં શિક્ષિકા ફરી વિવાદમાં.
પ્રાથમિક શાળાની શિક્ષિકાએ વિદ્યાર્થિનીઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ.
વિદ્યાર્થીનીઓએ ઘરે જઈને વાલીઓને આ અંગે જાણ કરી
ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષિકા લલિતાબેન વંશ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. ગઈકાલે ધોરણ 7 માં અભ્યાસ કરતી 4 વિદ્યાર્થીનીઓ પર તેમણે ચારિત્ર્ય બાબતે ખોટા આક્ષેપો કર્યા હતા, જે એક મહિલા શિક્ષિકાને શોભે તેવા નહોતા. વિદ્યાર્થીનીઓએ ઘરે જઈને વાલીઓને આ અંગે જાણ કરી હતી.
ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષિકા લલિતાબેન વંશ ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા અને આચાર્ય મિલનભાઈ ગોસ્વામીને સમગ્ર બાબતની રજૂઆત કરી હતી. અગાઉ 20 ડિસેમ્બરના રોજ પણ આ શિક્ષિકાએ વિદ્યાર્થીઓને માર માર્યો હતો, જે અંગેનો રિપોર્ટ જિલ્લા કક્ષાએ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ મહિલા શિક્ષિકાનું 6 મહિનાનું ઇન્ક્રીમેન્ટ અટકાવવામાં આવ્યું હતું, જે પછીના વર્ષે આપી દેવામાં આવ્યું હતું. આ વાતનું સમર્થન શાળાના સ્ટાફમાંથી પણ સાંભળવા મળ્યું હતું કે લલિતાબેન વંશ આવું બોલતા હોય છે. વારંવાર આ શિક્ષિકાની ફરિયાદ વાલીઓ દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ રાજકીય લાગવગથી પગલાં ભરવામાં આવતા નથી. આના કારણે શાળાના વિદ્યાર્થીઓના ભણતરમાં પણ વિલંબ ઊભો થઈ રહ્યો છે.
હાલ વાલીઓએ શાળાએ પહોંચી આચાર્યને ઉગ્ર રજૂઆત કરી હતી અને આ મહિલા શિક્ષિકા સામે પગલાં લેવાની માંગ કરી હતી. જો પગલાં નહીં લેવાય તો વિદ્યાર્થીનીઓના એલ.સી. કઢાવી લેવાની વાત કરી હતી. વાલીઓએ જણાવ્યું હતું કે આ શિક્ષિકા વિદ્યાર્થીઓને માર પણ મારે છે અને ફરિયાદ કરવા જઈએ તો પોતે રાજકીય લાગવગ ધરાવતા હોવાથી તેમનું કોઈ કંઈ બગાડી નહીં શકે તેવી ધમકી આપે છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
