નવસારીના ગ્રીડમાં ચૈત્રી અમાસના પવિત્ર પર્વે આસ્થાનું ઘોડાપૂર
શનિદેવ અને નવગ્રહ મંદિરે ભક્તોનું મહેરામણ ઉમટ્યું
ચૈત્રી માસની પવિત્ર અમાસના અવસરે આજે નવસારીના ગ્રીડ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોએ આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ગ્રીડ ખાતે સ્થિત રાહુલ નવગ્રહ દેવતા, રામ-સિતેશ્વર મહાદેવ અને શનિદેવ મંદિરે વહેલી સવારથી જ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ધાર્મિક દ્રષ્ટિએ ચૈત્રી અમાસનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોએ પવિત્ર દાન-પુણ્ય કરી દેવાધિદેવના આશીર્વાદ મેળવ્યા હતા.
તાજેતરમાં જ સંપન્ન થયેલી ચૈત્ર નવરાત્રી અને હનુમાન જન્મોત્સવ બાદ આવતી આ અમાસનું વિશેષ મહત્વ છે. આજે ચૈત્રી અમાસના દિવસે ભક્તો દ્વારા પિતૃ તર્પણની સાથે નવગ્રહ દેવતા તેમજ રામ-સિતેશ્વર મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. શનિદેવ મંદિરે ભક્તો દ્વારા તેલ અભિષેક અને ગ્રહદોષ નિવારણ માટે વિધિઓ કરવામાં આવી હતી, જ્યારે રામ-સિતેશ્વર મહાદેવના મંદિરે જળાભિષેક માટે શિવભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ નવગ્રહ દેવતાના ચરણે શીશ ઝુકાવી જીવનની મુશ્કેલીઓ દૂર કરવા પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. દિવસભર મંદિર પરિસર ભક્તિમય માહોલમાં ગરકાવ રહ્યું હતું. ભક્તોના અવિરત પ્રવાહને પગલે વ્યવસ્થાપકો દ્વારા દર્શનની સુચારુ અને વ્યવસ્થિત જાળવણી કરવામાં આવી હતી, જેથી દરેક ભાવિક શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે….

