સુરતમાં સતત ધોધમાર વરસાદને કારણે ગરનાળું પણ પાણીમાં
સૂર્યપુર ગરનાળું પણ પાણીમાં ગરકાવ થતાં અવરજવર પર અસર
વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા અને વાહનો પાણીમાં બંધ પડયા
સુરતમાં સતત ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ખાંડ બજાર નજીક આવેલ સૂર્યપુર ગરનાળું પણ પાણીમાં ગરકાવ થતાં અવરજવર પર અસર જોવા મળી હતી.
સુરત શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. ખાંડ બજાર પાસે આવેલ સૂર્યપુર ગરનાળામાં વરસાદી પાણી ભરાતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે. રસ્તા પર એટલું પાણી ભરાયું કે વાહનો ડૂબી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પાણી ભરાવાને કારણે અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા અને કેટલાક વાહનો પાણીમાં બંધ પડી ગયા હતાં. શહેરના વિવિધ વિસ્તારોમાંથી પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૂર્યપુર ગરનાળું અવરજવર માટે તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ભારે વરસાદ વચ્ચે નાગરિકોને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી રહી છે.

